સરકાર પહેલાં સરકારી હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવે, ભરૂચમાં ખાનગી તબીબોનો વિરોધ
ભરૂચ અને અંકલેશ્વરના 350 તબીબોએ પણ રાજ્યવ્યાપી એક દિવસીય હડતાલમાં જોડાઈ હોસ્પિટલ બંધ રાખતા દર્દીઓની હાલાકીનો પાર રહ્યો ન હતો. ભરૂચના ઇન્ડિયન મેડિકલ એઓસીએશન સાથે જોડાયેલા તબીબોએ રોટરી કલબ ખાતે બેઠક યોજી ICU સાત દિવસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવવા અને કાચ હોસ્પિટલમાંથી હટાવવાના તઘલખી ફરમાનનો વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ જિલ્લા કલેકટરને તબીબોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
તબીબોએ રોષ વ્યકત કર્યો હતો કે, ICUનું એક બેડ પાછળ એક કરોડનો ખર્ચ થાય છે. 70 ટકાથી વધુ હોસ્પિટલો શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલી છે જેને 7 દિવસમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈ.સી.યુ. કાર્યરત કરવું શક્ય નથી.સરકાર અને સરકારી બાબુઓ પાછલે બારણે લોકોને છેતરી રહ્યાં છે. સરકાર લોકોને એવું બતાવવા માંગે છે કે, તેઓ ધનાઢય લોકોને પણ છોડતી નથી. જે થકી લોકોના મત મેળવવા માંગતી હોવાનો પણ આક્ષેપ ભરૂચ IMA એ કર્યો છે. આ કોઈ કાર્ટૂન મૂવીઝ નથી કે બોક્સ હટાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકી દેવામાં આવે. સરકારી હોસ્પિટલોમાં જ ICU બીજા, ત્રીજા, ચોથા અને અમદાવાદ સિવિલમાં તો 7માં માળે કાર્યરત છે. સરકારે પહેલા ત્યાં દખલ દેવાની જરૂર છે. સરકારે આના માટે એક કમિટી બનાવવી જોઈએ જેમાં આઈ.એમ.એ.ના સભ્યોનો સમાવેશ કરાવવો જોઈએ.