સુપ્રીમ કોર્ટે બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરી અને મહત્ત્વની ટિપ્પણી કરી છે. SCમાં જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે આ ખૂબ જ ગંભીર મામલો છે. દરેકને ધર્મ પસંદ કરવાનો અધિકાર છે પરંતુ બળજબરીથી ધર્મ પરિવર્તનથી નહીં. આ ખૂબ જ ખતરનાક છે. સુપ્રીમ કોર્ટ હવે આ મામલે આગામી સુનાવણી 28 નવેમ્બરે કરશે.
કોર્ટે કહ્યું કે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ આ મામલે સરકારનું પ્રતિનિધિત્વ કરે. અમે આ અંગે તેમને સાંભળીશું. જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે આ દેશની સુરક્ષા માટે પણ ગંભીર ખતરો છે. જો કોઈ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરે છે તો તેમાં કોઈ વાંધો નથી, પરંતુ જો તેઓ અન્ય કોઈ રીતે ધર્મ પરિવર્તન કરે છે તો કેન્દ્ર સરકારે આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડશે.
સોલિસિટર જનરલે કહ્યું- અમે 21 નવેમ્બરે આ મામલે જવાબ દાખલ કરીશું
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ અંગે પગલાં ભરવા પડશે. તેના પર એસજીએ કહ્યું કે 21 નવેમ્બર સુધીમાં અમે આ અંગે જવાબ દાખલ કરીશું. કેન્દ્ર સરકારનું કહેવું હતું કે જેમને આનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે, તેઓને ખુદને ખબર નથી કે મદદના નામે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે.
બળજબરીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા કાયદો બનાવવાની માંગ
જણાવી દઈએ કે અરજીમાં કેન્દ્ર અને રાજ્યોને બળજબરીથી અથવા છેતરપિંડીથી થતા ધર્મ પરિવર્તનને રોકવા માટે કડક પગલા ભરવા માટે કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. જસ્ટિસ શાહ અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે આ સમસ્યા આખા દેશમાં છે.