બારડોલી : ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામે આવેલી મુજાણી ફેબટેક્સ પ્રા.લી. નામની ફેક્ટરીમાં ગત 12મી જૂનના રોજ પરિણીતાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાના દોઢ મહિના બાદ ઓલપાડ પોલીસે પરિણીતાની માતાની ફરિયાદના આધારે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના ફિરોજાબાદ જીલાના નૌસેહરા ગામે રહેતી કમલાદેવી થાનસિંગ કુશ્વાહના પાંચ સંતાનો પૈકી સૌથી નાની પુત્રી સાધના (ઉ.વર્ષ 23)ના લગ્ન ચાર વર્ષ અગાઉ હાથરસ જિલ્લાના સુમ્મેરપૂર ગામના રાજકુમાર ખ્યાલીરામ કુશ્વાહ સાથે થયા હતા. રાજકુમાર થોડા મહિના પહેલા જ સુરતના ઓલપાડ તાલુકાનાં સિવાણ ગામે આવેલી કાપડની ફેક્ટરીમાં કામ કરવા માટે આવ્યો હતો. થોડા દિવસ બાદ સાધના પણ તેની સાથે રહેવા આવી ગઈ હતી. બંને પતિપત્ની સિવાણની મુજાણી ફેબટેક્સ પ્રા.લી.માં ઉપલા માળે મજૂરોની ખોલીમાં રહેતા હતા. તેમજ સાધના પણ કાજુની ફેક્ટરીમાં કામે જતી હતી. દરમ્યાન ગત 12મી જૂનના રોજ સાંજે 6 વાગ્યે રાજકુમાર નોકરી પરથી પરત ઘરે આવ્યો ત્યારે રૂમ ન બાજુના રૂમની પતરાની દીવાલ પરથી જોતાં સાધના બારીના સળિયા સાથે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. રાજકુમારે દરવાજો તોડી અંદર પ્રવેશ કરતાં જોય તો સાધનાનું મોત થઈ ગયું હતું. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે જે તે સમયે આકસ્મિક મોતનો ગુનો નોંધ્યો હતો અને પોસ્ટમોર્ટમ બાદ મૃતક સાધનાના પિયરવાળાના કહેવાથી લાશ રાજકુમારને આપી હતી. તેની અંતિમક્રિયા વતનમાં કરવામાં આવી હતી. દરમ્યાન મૃતક સાધનાની માતાએ વતનથી સાયણ આવી શુક્રવારના રોજ સાધનાના પતિ રાજકુમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માતાએ આક્ષેપ કર્યો હતો કે સાધનાને લગ્નના ચાર વર્ષ બાદ પણ સંતાન થતું ન હોય તેનો પતિ તેને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. વારંવારની ત્રાસથી કંટાળી જઇ સાધનાએ આ પગલું ભર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરતાં પોલીસે રાજકુમાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.