ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનું માનવુ છે કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ ઇંગ્લેન્ડ ટેસ્ટ માટે ટીમમાં જગ્યા મળવી જોઇતી હતી. હરભજન અનુસાર શાર્દુલ ઠાકુરે સારૂ કામ કર્યુ છે પરંતુ હાર્દિક પંડ્યાના હોવાથી ટીમને મજબૂતી મળતી કારણ કે તે સારા ફોર્મમાં છે.
આઇપીએલમાં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારૂ રહ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2022માં જોરદાર રીતે કેપ્ટન્સી કરતા ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યુ હતુ. હાર્દિક પંડ્યાએ 15 મેચમાં પોતાની ટીમ માટે સૌથી વધારે 487 રન બનાવ્યા હતા. ગત સીઝનમાં તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી. બોલિંગમાં પણ હાર્દિક પંડ્યાએ આઠ વિકેટ ઝડપી હતી અને તેનો ઇકોનોમી રેટ 7.27નો રહ્યો હતો.
તે બાદ હાર્દિક પંડ્યાને આયરલેન્ડ વિરૂદ્ધ 2 ટી-20 મેચની સીરિઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને તેની કેપ્ટન્સીમાં ટીમે ટી-20 સીરિઝમાં શાનદાર રીતે જીત મેળવી હતી.
મહત્વપૂર્ણ છે કે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચમી ટેસ્ટ મેચ માટે હાર્દિક પંડ્યાનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામે ટી-20 અને વન ડેમાં રમતો જોવા મળશે.