ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગના ઈતિહાસમાં પહેલી વખત પરીક્ષા અગાઉ પ્રશ્ન પત્રની ચોરી થવાનો બનાવ ભાવનગર જિલ્લામાં બન્યો છે. જેને લઈ રાજ્યભરના ધો. 7 ના વિદ્યાર્થીઓનાં શુક્રવાર અને શનિવારના બે પેપરો રદ કરવામાં આવ્યા છે.
સુરત જિલ્લામાં 13265 વિદ્યાર્થીઓ પરિક્ષાની પૂર્વ તૈયારી કરી શાળાએ પરીક્ષા આપવા પહોંચ્યા અને ત્યાં ખબર પડી કે પરીક્ષા રદ થઈ છે. જેને લઈ વિદ્યાર્થીઓ પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શાળામાં પરીક્ષા આપવા વિદ્યાર્થી આવી પહોંચતા શિક્ષકો પણ અવઢવમાં મુકાયા હતા, અને આખરે પરિક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને વર્ગ ખંડમાં બેસાડી રિવિઝન કરાવાયું હતું. તા 21 એપ્રિલ ગુરુવારની મોડી રાત્રે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવડ પ્રાથમિક શાળામાં પ્રશ્ન પત્રની ચોરી થઇ હોવાની જાણ મોડી રાત્રે જ શિક્ષણ વિભાગને થતાં તાત્કાલિક ધો. 7 ની શુક્રવારે યોજાનારી વિજ્ઞાન અને શનિવારે યોજાનારી સામાજિક વિજ્ઞાનની પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાબતે મોડી રાત્રે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ સોસિયલ મીડિયા પર શિક્ષકોને જાણ કરી હતી.
જોકે હાલ ઉનાળાને લીધે મોર્નિંગ શાળા હોવાથી વિદ્યાર્થીઓ રાબેતા મુજબ પરિક્ષાની તૈયારીઓ કરી શાળાએ પરીક્ષા આપવા આવી ગયા હતા. ત્યારે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થઈ હોવાનું જણાવતા વિદ્યાર્થીઓ પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તળાજા તાલુકાનાં નેસવડ ગામે પ્રાથમિક શાળામાં થયેલ પ્રશ્ન પત્રની ચોરી બાદ શિક્ષણ વિભાગે તકેદારીના ભાગ રૂપે હાલ જે પ્રશ્ન પત્રો શાળામાં છે તે તમામ મુખ્ય શિક્ષકોએ પોતાના નિવાસ સ્થાને રાખવા અને જે વિષયની પરીક્ષા હોય તે વિષયના પ્રશ્નપત્ર શીલ બંધ કવરમાં શાળાએ લઈ જવાના રહેશે. જિલ્લાના ધો. 7 માં અભ્યાસ કરતાં 13265 વિધ્યાર્થીઓની વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ બે પરીક્ષા પેપર ચોરી થવાના લીધે રદ થઈ છે. જેની પરીક્ષા હવે 29 અને 30 એપ્રિલે લેવામાં આવશે.ઉપરાંત સોમવારથી અગાઉથી નક્કી તારીખો મુજબના વિષયની જ પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે. > ડો. દિપક દરજી, સુરત જિલ્લા શિક્ષણ અધિકારી