ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં જમા રકમમાંથી કોંગ્રેસ પક્ષની માંગણી મુજબ
કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવા
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની માંગણી
સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી વાપરેલ રકમ કયા હેતુસર વાપરી તે સરકાર જાહેર કરે
આજરોજ વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખનો રાજ્ય સરકાર પાસે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં જમા રકમનો પ્રશ્ન હતો.
ગ્યાસુદ્ીન શેખે જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખ ચૂકવવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી હતી, પરંતુ રાજ્ય સરકારે તે સ્વીકારી નહોતી.
નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સરકાર કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારજનોને રૂ. ૫૦ હજારની સહાય ચૂકવવા તૈયાર થઈ. રાજ્ય સરકારે કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓની સંખ્યા લગભગ ૧૧ હજાર જેટલી જાહેર કરી હતી. ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પહેલેથી જ આંકડાઓની સાથે રમત કરતી રહી હતી અને સાચા આંકડા છુપાવી રહી હતી.
કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાથી મૃત્યુ પામનારનો આંકડો ત્રણ લાખથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય મેળવવા સમગ્ર રાજ્યમાં હજારોની સંખ્યામાં અરજીઓ આવી છે, તે પૈકી આજે પણ લોકોની અરજીઓ પડતર રહી છે અને લોકો સહાય મેળવવાથી વંચિત છે.
રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફંડમાંથી ત્રણ વર્ષમાં રૂ. ૫,૭૮૦.૨૫ કરોડનો ખર્ચ કર્યો છે,
ત્યારે આટલી રકમ કયા હેતુસર અને કયા કામ માટે ખર્ચ કરવામાં આવી છે તે જાહેર કરવાની ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી હતી અને કોંગ્રેસ પક્ષની માંગણી મુજબ કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખની સહાય ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં જમા રહેલ રકમમાંથી ચૂકવે તેવી માંગણી પણ ગ્યાસુદ્દીન શેખે કરી હતી.