અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે એસટી બસ રસ્તાની બાજુ પર ઉતરી ગઈ, મુસાફરોને બારીમાંથી બહાર કઢાયા
અમરેલીના ચલાલાથી ગોપાલગ્રામ વચ્ચે આજે એક એસટી બસ રસ્તાની સાઈડમાં ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. બસ ત્રાસી થઈ જતા બસમાં સવાર મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
અમરેલી જિલ્લામા આવેલ ચલાલથી ગોપાલગ્રામ વચ્ચે ગુરુકુલના પાટિયા પાસે એસ.ટી.નો અકસ્માત સર્જાયો હતો. અહીં એસ.ટી.બસ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવી દેતા બસ ખાળીયામાં ઘુસી જતાં મુસાફરોએ થોડીવાર અહીં દેકારો મચાવ્યો હતો. ઘટના બાદ આસપાસમાં ગ્રામજનો પણ અહીં મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મુસાફરોની સંખ્યા ઓછી હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના બની ન હોવાનુ મનાય રહ્યું છે. જોકે અહીં સ્થાનીક લોકો દ્વારા મુસાફરોને બારીમાંથી બહાર કાઢવાની ફરજ પડી હતી.
ઘટના બાદ એસ.ટી.વિભાગના ધારી એસ.ટી.ડેપો મેનેજર સહિત દોડી આવ્યા હતા. અમરેલી એસ.ટી.ડેપોની બસ હોવાનુ જાણવા મળી રહ્યું છે જ્યારે મુસાફરો પણ અહીં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હોવાનુ જાણવા મળી રહ્યું છે ઘટનામા રાહદારી ઓ અહીં ઉભા રહી મુસાફરોની મદદ કરતા પણ જોવા મળ્યા હતા.