પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત મહિલાઓની જાતીય સતામણી સામે કેવા પગલા ભરી શકાય તે અંગેનો એક દિવસીય સેમીનાર યોજાયો હતો.
આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની સામાહિક ઉજવણી સંદર્ભે શૈક્ષણિક સંકુલો સહિત વિવિધ એનજીઓ દ્વારા મહિલાલક્ષી કાર્યક્રમો યોજી મહિલા સશકિતકરણ અને નારીશકિતનું મહત્વ સમજાવવામાં આવી રહ્યુ છે. જે અનુસંધાને મહિલા દિવસની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટીના કિલાચંદ રંગભવન ખાતે કુલપતિ ડો. જે.જે.વોરાના અધ્યક્ષસ્થાને મહિલાઓની જાતીય સતામણી વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહિલાઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી સેમીનારને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સંબોધતા મહિલા સેમીનારના અગ્રણીએ જણાવ્યું હતું કે, પશ્ચિમના દેશોમાં મહિલાઓ કેટલી સુરક્ષિત છે તે વિચારવા જેવું છે. જયારે આપણા દેશમાં બધા જ ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી જોવા મળી રહી છે. ખાસ કરીને મેડીકલ, રમત ગમત, ઉધોગીક ક્ષેત્ર સહિત અન્ય ક્ષેત્રોમાં આજે મહિલાઓએ આગવી હરણફાળ ભરી છે.
કોઇપણ દેશનું ભવિષ્ય મહિલાઓ કેટલી પ્રગતિશીલ છે તેના પર આધાર રાખે છે. આપણા દેશમાં નર અને નારાયણની આદિકાળથી પુજા કરવામાં આવી રહી છે. તો વર્તમાન સમયમાં મહિલાઓની જાતીય સતામણી માટે કોણ જવાબદાર…? તે એક ચર્ચાનો વિષય છે. ત્યારે મહિલાઓને સક્ષમ બનાવવા માટે આપણે સૌએ પહેલ કરવી પડશે તેવો અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રજીસ્ટાર ડી.એમ. પટેલ, નીતાદીદી, સ્મિતાબેન પટેલ સહિત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી.