(જી.એન.એસ.) તા.5
હવામાન વિભાગ દ્વારા ગરમીથી આંશિક રાહત મળે એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને સાથે લઘુતમ તાપમાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માટે સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ઉત્તર ભારતના વિસ્તારમાં ભારે હિમવર્ષાની પરીસ્થિતિ સર્જાઇ હતી તથા તે દિશા તરફથી ગુજરાત ઉપર પવન આવી રહ્યા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતા તેની અસરને કારણે આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડો આવશે એટલે કે ગરમીથી રાહત મળવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન ઝડપી ગતિએ પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે જેથી ગરમીથી રાહત મળશે.