રાજ્યમાં ઉનાળાની ઋતુમાં પણ કમોસમી વરસાદે કહેર વર્તાવ્યો હતો. જો કે, હવે છેલ્લા અમુક દિવસથી રાજ્યના લોકોને માવઠાથી રાહત મળી છે. જ્યારે તાપમાનમાં પણ વધારો થયો છે. દિવસ દરમિયાન લોકો ગરમીનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે દિવસ અને રાતના સમય લોકો ઠંડાપીણાની મજા લેવાનું પણ શરૂ કર્યું છે. જો કે, ઠંડાપીણા પીતા પહેલા સાવચેત રહેવાની જરૂર છે કારણ કે, તાજેતરમાં કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારમાં દરોડા પાડીને મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે કોર્પોરેશન દ્વારા 700 લીટર ઠંડાપીણા અને શરબતનો નાશ કરાયો છે.
શાહીબાગ, દરિયાપુર, જમાલપુર, અસારવા સહિતના વિસ્તારોમાં દરોડા
માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તાર શાહીબાગ, દરિયાપુર, જમાલપુર, અસારવા, શાહપુર, ખાડિયામાં આવેલી ખાદ્ય પદાર્થોની દુકાનમાં દરોડા પાડવા આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન આરોગ્ય વિભાગે કેટલીક જગ્યાએથી અખાદ્ય પદાર્થનો જેથ્થો ઝડપી પાડ્યો છે. માહિતી મુજબ, કોર્પોરેશન દ્વારા 700 લીટર ઠંડાપીણા, શરબતનો નાશ કરાયો છે. ઉપરાંત, પાણીપુરીનું પાણી, બળેલું તેલ, ચટણીના સોશનો પણ નાશ કરાયો છે. આ સાથે બગડેલાં ફ્રૂટ્સ, શાકભાજી તેમ જ પાણીપુરીનો માવો અને તૈયાર ખોરાકનો પણ નાશ કરાયો છે.
84 એકમોને નોટિસ ફટકારાઈ
છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટીના કેસમાં વધારો થયો છે. ત્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય પદાર્થ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારમાં દરોડો પાડી હલકી ગુણવત્તા અને બિનઆરોગ્યપ્રદ અખાદ્ય પદાર્થનું વેચાણ કરતા એકમો અને લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માહિતી મુજબ, વિભાગે રેડ દરમિયાન 15 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક પણ મળી આવ્યું હતું. સાથે જ નિયમોનું પાલન ન કરનાર 84 એકમોને નોટિસ આપવામાં આવી છે.