જુનાગઢ જેતપુર હાઇવે પર જેતપુર તરફથી આવતા વાહનોની ઝડપ ધીમી થાય તે માટે તાલુકા પોલીસની હદમાં બેરીકેડ રાખવામાં આવ્યા છે અને ત્યાં ચેકપોસ્ટ રાખવામાં આવી છે ગતરાત્રે કાથરોટા ગામના જયેશભાઈ હરિભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 અને કાંતિલાલ ઉર્ફે કાનાભાઈ ડાયાભાઈ દેગડા આ ચેકપોસ્ટ ખાતે ફરજ પર હતા. ગત મોડી રાત્રે જેતપુર તરફથી એક જીજે 18 બીએચ 7 નંબરની આઈ ટ્વેન્ટી કાર પૂરઝડપે આવી હતી બેરીકેડમાં આ કારના ચાલકે ધીમી ન પાડતા કાર બેરીકેડ સાથે અથડાઈ હતી બાદમાં બેકાબૂ બનેલી કાર ચેકપોસ્ટમાં ઘુસી ફરજ પર રહેલા જીઆરડી જવાન કાંતિલાલ અને જયેશભાઈ સાથે અથડાઈ હતી જેમાં જયેશભાઈ કાર હડફેટે ફંગોળાઈ ગયા હતા જ્યારે કાંતિલાલ કાર નીચે દબાઈ ગયા હતા.આ અંગે જાણ થતાં જીઆરડી સભ્ય ભરતભાઈ સોલંકી રામજીભાઈ વઘેરા આવ્યા હતા અને તાલુકા પોલીસની પીસીઆર વાન આવી હતી આ વાનમાં ઇજાગ્રસ્ત જયેશભાઈ અને કાંતિલાલને જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં કાંતિલાલને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા જયેશભાઈને કપાળ કાન હાથ પગમાં ઈજા થતાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત બાદ અજાણ્યો કારચાલક કાર મૂકીને ત્યાંથી નાસી ગયો હતો આ અંગે જીઆરડી જવાન જયેશભાઈ ચૌહાણે આ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે