કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પર ભારતીય જનતા પાર્ટીએ પલટવાર કર્યો છે. આ માટે ભાજપ તરફથી પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ પર ઘણા આરોપો લગાવ્યા. રવિશંકરે કહ્યું કે રાહુલ ગાંધીએ વિદેશમાં ભારતનું અપમાન કર્યું છે, જેના માટે તેમણે માફી માંગવી જોઈએ. બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે જો રાહુલ માફી નહીં માંગે તો ભાજપ તેમની વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવશે, જેમાં કોંગ્રેસના નેતાનો પર્દાફાશ થશે.
રવિશંકર પ્રસાદે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 6 માર્ચથી રાહુલ ગાંધી વિદેશમાં હતા. હવે તે અચાનક પ્રગટ થયા અને ખોટું બોલવા લાગ્યા. રવિશંકરે પૂછ્યું કે રાહુલ ક્યાં સુધી દેશને ગુમરાહ કરશે?
રવિશંકરે વધુમાં આક્ષેપ કર્યો કે રાહુલે વિદેશમાં ભારતની લોકશાહીનું અપમાન કર્યું હતું. રવિશંકરે કહ્યું, ‘રાહુલને આદત પડી ગઈ છે કે વિદેશમાં જઈને ભારતના લોકો, લોકશાહીનું અપમાન કરે. રાહુલ ગાંધી તમે વાયનાડમાં અને હિમાચલમાં આ લોકશાહીમાં જીત્યા. નોર્થ ઈસ્ટમાં સફાયો થયો તો સવાલો ઉઠાવી રહ્યા છે.’
‘રાહુલ ગાંધીએ નિવેદન પર ખેદ વ્યક્ત ન કર્યો’
બીજેપી નેતાએ વધુમાં કહ્યું કે, આજે પણ રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં વિદેશમાં આપેલા નિવેદન માટે ખેદ વ્યક્ત ન કર્યો. રવિશંકરે કહ્યું, ‘રાહુલ ગાંધીએ એક વાર પણ નથી કહ્યું કે તેમણે ઈંગ્લેન્ડમાં શું કહ્યું હતું. રાહુલ ગાંધી તમારો અહંકાર દેશ કરતા મોટો નથી. ભાજપની માંગ છે કે રાહુલ માફી માંગે. તેમની માફી માટે ભાજપ અભિયાન ચલાવશે.’
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
આ પહેલા આજે બપોરે કોંગ્રેસના સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ બીજેપી તરફથી માફી માંગવાની માંગ વચ્ચે ફરી અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાહુલે કહ્યું, ‘સરકાર અદાણી મુદ્દાથી ડરી રહી છે. હું સંસદમાં બોલવા માંગુ છું, સરકારના ચાર મંત્રીઓએ ગૃહમાં મારા પર આક્ષેપો કર્યા છે, તેથી મને બોલવા દેવો જોઈએ.’ કોંગ્રેસ નેતાએ વધુમાં કહ્યું, ‘એવું લાગે છે કે મને સંસદમાં બોલવા દેવામાં આવશે નહીં.’ રાહુલે કહ્યું કે જો ભારતની લોકશાહી કામ કરે છે તો હું સંસદમાં બોલી શકીશ. તેથી જ આ ભારતની લોકશાહીની કસોટી છે.