તાજેતરમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચ રમાઈ હતી, જેની શરૂઆત પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝની હાજરીમાં થઈ હતી. જોકે આ ટેસ્ટ મેચ દરમિયાન સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા મેસેજ વાયરલ થયા હતા, જેમાં સ્ટેડિયમમાં મેચ ન જોવા લોકોને ધમકી આપી હતી. આ મામલે બે દિવસ પહેલા મધ્યપ્રદેશથી બે લોકોની ધરપકડ કરાઈ હતી, ત્યાર હવે આ કેસમાં મુંબઈના એક શખ્સનું નામ સામે આવ્યું છે.
જણાવી દઈએ કે, સાઇબર ક્રાઇમે આ કેસની ઝીણવટભરી તપાસ કરી બે દિવસ પહેલા મધ્યપ્રદેશના સતના અને રિવા જિલ્લામાંથી રાહુલકુમાર દ્વિવેદ્રી અને નરેન્દ્ર કુશવાહ નામના બે શખ્સની ધરપકડ કરી હતી. આ બંનેની પૂછપરછમાં મુંબઈના એક શખ્સનું નામ સામે આવ્યું છે. આથી સાઇબર ક્રાઇમે એ વ્યક્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જણાવી દઈએ કે, મધ્યપ્રદેશથી પકડાયેલા આરોપીઓ પાસેથી સાઇબર ક્રાઇમે 186 સીમકાર્ડ, 11 જેટલા સીમબોક્ષ મશીન, 6 મોબાઈલ, બે લેપટોપ, 3 વાઇફાઇ રાઉટર અને એક કોમ્પ્યુટર સિસ્ટમ સહિતનો કુલ રૂ.11.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વાયરલ મેસેજમાં પીએમ મોદીને લઈ વિવાદીત ટિપ્પણીઓ કરાઈ હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન સોશિલય મીડિયા પર એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. આ પ્રી-રેકોર્ડેડ વોઇસ કલીપ ખાલીસ્તાન આતંકવાદી ગુરપતવંતસિંહના અવાજ હોવાનું જણાવાયું હતું. વોઇસ ક્લીપમાં ક્રિકેટ ચાહકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો એવી ધમકી અપાઈ હતી. ઉપરાંત, પીએમ મોદીને લઈ વિવાદીત ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ ક્લીપ વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ત્યારે સાઇબર ક્રાઇમે પણ સઘન તપાસ હાથ ધરી છે.