ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુવરજી બાવળીયાને પત્ર લખીને પાણી છોડવા કરી માંગ
સોરઠી સિંચાઈ યોજનામાં 35 MCFT પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખીને બાકીનું 15 MCFT પાણી સિંચાઈ માટે છોડી શકાય તેમ છે – અર્જુનભાઈ મોઢવાડિયા.
જળસંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પત્રના જવાબમાં ઝડપથી નિર્ણય લેવાની ખાત્રી આપી.
ઉનાળાનો પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે પોરબંદર પંથકમાં ખેડૂતો સિંચાઈ માટે પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુવરજી બાવળીયાને પત્ર લખીને પોરબંદર જિલ્લાની સોરઠી સિંચાઈ યોજનામાંથી સિંચાઈ માટે પાણી છોડવા માંગ કરી છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં મેમ્બર સેક્રેટરીએ તારીખ 9/11/2022 ના રોજ પોરબંદર જિલ્લા જળસંપત્તિ વિભાગના સચિવને પત્ર લખીને પોરબંદર જિલ્લાની સોરઠી સિંચાઈ યોજનામાંથી 50 MCFT પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવા આદેશ કરેલ છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ પત્રમાં વધુમાં જણાવેલ છે કે પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થયેલ છે. આ ઉપરાંત ગુજરાતના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પાસે ફોદારા ડેમ અને ખંભાળા ડેમનું પાણી છે, જે પીવાના પાણી માટે જ બનાવેલ છે. આ બન્ને જળાશયોમાં પુરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમનું પાણી પણ પાઈપલાઈન મારફતે પીવા માટે આપવામાં આવે છે, જેને ધ્યાનમાં રાખીને પોરબંદરની સોરઠી સિંચાઈ યોજનામાં 35 MCFT પાણીનો જથ્થો પીવા માટે અનામત રાખીને બાકીનું 15 MCFT પાણી સિંચાઈ માટે છોડી શકાય તેમ છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુવરજી બાવળીયાને રુબરુ તથા પત્ર દ્વારા વિનંતી કરતા જણાવ્યુ છે કે પોરબંદર પંથકમાં ખેડૂતોને સિંચાઈ માટે આ પાણી મળે તો અનેક ખેડૂતો ઉનાળુ પાક લઈને ઉત્પાદન વધારી શકે તેમ છે. જેને ધ્યાનમાં રાખી પોરબંદરની સોરઠી સિંચાઈ યોજનામાંથી 15 MCFT પાણી સિંચાઈ માટે છોડવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. માન. જળસંપતિ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ઝડપથી નિર્ણય લેવાની ખાત્રી આપી હતી.