રાજ્યમાં માર્ગ આકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે વધુ એક અકસ્માતના સમાચાર વડોદરાથી આવ્યા છે. અહીં, અટલાદર પાદરા રોડ પર આવેલી નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ આ ઘટનામાં 3 લોકોએ ઘટના સ્થળે જ જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત આવતો હતો પરિવાર
માહિતી મુજબ, વડોદરાના પાદરાના લોલા તાલુકાનો નાયક પરિવાર સોખડા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. ત્યાંથી રિક્ષામાં પરત ફરતી વખતે અટલાદર પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષાની પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે રિક્ષાના કુરચે કુરચા ઊડી ગયા હતા. જ્યારે રિક્ષામાં સવાર પરિવાર 5 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 3 બાળકો અને પતિ-પત્ની સામેલ છે. ગમખ્વાર અકસ્માતની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. આ તમામના મૃતદેહોને SSG હોસ્પિટલ ખસેડાયા હતા. મીડિયા અહેવાલ મુજબ, હાલમાં અન્ય એક બાળક આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.