અમદાવાદમાં આવેલ નરોડા વિસ્તારમાં આવેલા મનોહરવિલા ચાર રસ્તા પર ગત ગુરુવારે બપોરે અઢી વાગ્યે 39 વર્ષીય યુવક બાઇક પર પસાર થતો હતો. આ દરમિયાન તેને ગાયે અડફેટે લેતા તે નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
શહેરના નવા નરોડા વિસ્તારમાં આવેલા શ્યામ એવન્યુ ખાતે પ્રશાંત બકુલભાઇ પટલે(ઉ.43) પરિવાર સાથે રહે છે. તેમનો નાનો ભાઇ ભાવિન પટેલ(ઉ.39) નવા નરોડા ખાતે આવેલી મુનલાઇટ સોસાયટીમાં રહે છે. ગત 29મી સપ્ટેમ્બરના રોજ બપોરના અઢી વાગ્યાના સુમારે મનોહરવિલા ચાર રસ્તા પાસેથી ભાવિનભાઇ પોતાના બાઇક પર પસાર થતાં હતા. આ સમયે મનોહરવિલા ચાર રસ્તા પર જ ગાયે તેમને અડફેટે લીધા હતા અને તેઓ બાઇક પરથી ઉછળીને નીચે પટકાયા હતા. નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોચી હતી. જેથી તેમને આસપાસના લોકોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સારવાર દરમિયાન સીટી સ્કેન કરતા તેમને બ્રેઇનમાં મલ્ટીપલ હેમરેજ થયા હોવાનું બહાર આવ્યું હતું. જેથી સારવાર તેમને રાખવામાં આવ્યા હતા. બ્રેઇન મલ્ટીપલ હેમરેજના કારણે તેમને સારવાર દરમિયાન ઓપરેશન કરવું પડ્યું હતું. તેમના ભાઇ ભાવિનભાઇને વધુ સારવાર માટે 1 ઓકટોબરે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખાતે લઇ ગયા હતા. આમ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.