બીસીસીઆઇ અધ્યક્ષ અને પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે ખાસ સબંધ છે. 2002માં તેની કેપ્ટન્સીમાં જ્યારે ટીમ ઇન્ડિયાએ નેટવેસ્ટ ટ્રૉફી જીતી હતી ત્યારે સૌરવ ગાંગુલીએ લૉર્ડ્સની બાલકનીમાં પોતાની ટી શર્ટ ઉતારી નાખી હતી અને તેને લહેરાવી હતી. કોલકાતામાં દૂર્ગા પૂજાની ધૂમ વચ્ચે એક પંડાલ એવો પણ બનેલો છે જે લૉર્ડ્સની બાલકની જેવો છે.
કોલકાતામાં દર વર્ષે અલગ અલગ થીમ પર પંડાલ બનાવવામાં આવે છે. આ વખતે એક પંડાલ લૉર્ડ્સની બાલકનીની થીમ પર બનાવવામાં આવ્યો છે, જેનું ઉદ્દઘાટન સૌરવ ગાંગુલીએ કર્યુ હતુ.
ગાંગુલીએ ત્યા પહોચીને તિરંગો લહેરાવ્યો હતો અને ફેન્સ સાથે મુલાકાત કરી હતી. આ પંડાલની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ પંડાલનું નિર્માણ મિતાલી સંઘ કોમ્યુનિટીએ કરાવ્યુ છે, ગાંગુલીએ ત્યા પૂજા પણ કરી હતી.
13 જુલાઇ 2002માં નેટવેસ્ટ ટ્રૉફીની ફાઇનલમાં ભારતની જીતના હીરો યુવરાજ સિંહ અને મોહમ્મદ કૈફ હતા. ક્રિકેટનું મક્કા ગણાતા લૉર્ડ્સ પર રમાયેલી આ ફાઇનલમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટે 325 રન બનાવ્યા હતા.
326 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શાનદાર શરૂઆત થઇ હતી. ઇનિંગનો પ્રારંભ કરવા ઉતરેલા સૌરવ ગાંગુલી અને સહેવાગે પ્રથમ વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી હતી. સૌરવ ગાંગુલી 60 રન બનાવીને આઉટ થયો હતો. વિરેન્દ્ર સહેવાગ 45 રન બનાવીને આઉટ થયો હતો. એક સમયે ભારતનો સ્કોર પાંચ વિકેટે 146 રન હતો. અહીથી યુવરાજ અને મોહમ્મદ કૈફે મોરચો સંભાળ્યો હતો. બન્નેએ 121 રનની ભાગીદારી કરી હતી.
યુવરાજ સિંહ 69 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. મોહમ્મદ કૈફે 87 રનની અણનમ ઇનિંગ રમતા ટીમ ઇન્ડિયાને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે ત્રણ બોલ બાકી રહેતા 8 વિકેટે 326 રન બનાવ્યા હતા. જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલીએ લૉર્ડ્સની બાલકનીમાં પોતાની ટી શર્ટ ઉતારીને હવામાં લહેરાવી હતી.