વાલોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા ૭ સભ્યોએ સંયુકત સહીથી તરુણ પટેલના લેટરપેડ પર તાલુકા પંચાયતના કામો અંગે ૧૩ જેટલી અરજીઓ કરી હોય તેમાંથી ત્રણ સભ્યોએ આજરોજ ટીડીઓને અરજી કરી જણાવ્યું કે,સંયુક્ત સહીથી આપેલ અરજી બાબતે તેઓને કઈ લેવા દેવા નથી.
કોંગ્રેસના સભ્યોએ ટીડીઓને આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર,યોજનાકીય કામોની તપાસ કરતા કામો યોગ્ય રીતે અને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર થયેલ હોવાથી વિરોધ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.પંચાયત વિરુદ્ધ પક્ષના નેતા રાજકીય હાથો બનીને કારોબારી અધ્યક્ષ જયનાબેન સંજયભાઈ ગામીતને માત્ર બદનામ કરવાના હેતુથી કરેલા તમામ આક્ષેપો ખોટા થયા છે અને વિકાસના કામોમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપો પણ ખોટા છે. તેમજ સમાજ અને વિસ્તારના કામો કરવા માટે શાસક પક્ષ સાથે તાલમેલ કરવો જરૂરી છે. દર વખતે વિરોધ કરીને વિકાસના કામોમાં અડચણ ઊભી કરવી યોગ્ય નથી.
આ બાબતે કારોબારી અધ્યક્ષ જયનાબેન ગામીતે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રણ સભ્યના વિપક્ષના નેતાના આક્ષેપો માંથી પોતાને કઈ લેવાદેવા નથી એવું જણાવી રહ્યા છે. એના પરથી સાબિત થાય છે કે, તરુણ પટેલ હરહંમેશ આદિવાસી સમાજની મહિલાનું અને આદિવાસી સમાજનું અપમાન કરતા આવ્યા છે, તરુણ પટેલ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિ છે, તેથી કોંગ્રેસે આવા આદિવાસી સમાજનું અહીત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.