પાટડીના રણકાંઠા વિસ્તારમાં ગાયોમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાટડીના હિંમતપુરામાં 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રવિવાર હોવાથી 1962ની ટીમ ઉપલબ્ધ ન હોવાથી સમાજ સેવિકા અને પશુપાલકો દ્વારા હાલ આ અસરગ્રસ્ત ઘેંટાઓને અલગ કરી ફટકડી અને કપૂર લગાવી સારવાર શરૂ કરાઇ છે.
….ગુજરાત ભરના ગામડાઓમાં પશુઓમાં જોવા મળતા લમ્પી વાઇરસના પગલે પશુપાલકો ચિંતીત બન્યા છે. એવામાં ઝાલાવાડના ધ્રાંગધ્રા, લીંબડી, મૂળી અને લખતર પંથક બાદ થોડા સમય અગાઉ પાટડીના ગ્રામ્ય વિસ્તારની 19 ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણ જોવા મળ્યા હતા. આથી પશુપાલન વિભાગની ટીમેં રણકાંઠાના અસરગ્રસ્ત ગામોમાં અબોલ પશુઓમાં રસિકરણની કામગીરીની શરૂઆત કરી હતી. બાદમાં ઝીંઝુવાડામાં પણ ૫૦ થી વધુ ગાયોમાં લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળ્યાં હતા. જેમાં બે ગાયોના સારવાર દરમિયાન કમકમાટીભર્યા મોત નિપજતા પશુપાલકો ફફડી ઉઠ્યા હતા. પાટડીના રણકાંઠા વિસ્તારમાં અબોલ ગાયોમાં લમ્પી વાઇરસે હાહાકાર મચાવ્યાની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં પાટડીના હિંમતપુરામાં લાલાભાઇ સતાભાઇ ભરવાડના માલિકીના 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળતા પશુપાલકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. આ ઘેટાઓમાં ગાયોની જેમ ઘેટાંઓમાં એક પછી એક ચામઠા અને ગુમડા જોવા મળતા ઘેટાં માલિકોમાં ભયની લાગણી ફેલાવા પામી હતી. બીજી બાજુ રવિવાર હોવાથી પશુપાલકો દ્વારા અનેકો સંપર્ક કરવા છતાં 1962ની ટીમ ઉપલબ્ધ ન હોવાથી સમાજ સેવિકા રંજન ગોહિલ અને ઘેટાં માલિકો દ્વારા હાલ આ અસરગ્રસ્ત ઘેંટાઓને અલગ કરી ફટકડી અને કપૂર લગાવી સારવાર શરૂ કરાઇ છે. પાટડી તાલુકાના અંતરિયાળ હિંમતપુરા ગામે લાલાભાઇ સતાભાઇ ભરવાડના 25થી વધુ ઘેટામાં લમ્પી જેવો વાઇરસ જોવા મળ્યો છે. ગાયો બાદ ઘેટાંમાં લમ્પિ વાઇરસ પશુપાલકો માટે ચિંતાનો વિષય છે. હાલ આ અસરગ્રસ્ત ઘેટાંઓને અલગ કરી એમને લીમડો, મરી અને હળદરની દવા પીવડાવવાની સાથે એમના શરીર પર ઢીંમડા કે ગુમડા પર ફટકડી અને કપૂરની દવા લગાવવાની સાથે એમને અલગ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જેથી અન્ય ઘેટાંઓમાં આ રોગ ના ફેલાય. સુરેન્દ્રનગર જિલ્લામાં 89 ગામોનો પાટડી તાલુકો જિલ્લાનો સૌથી મોટો તાલુકો છે અને આવડા મોટા તાલુકામાં ગણ્યાંગાઠ્યાં એકાદ બે પશુ ચિકિત્સક અધિકારી જ ફરજ બજાવતા હોવાથી પાટડી તાલુકામાં પશુ ચિકિત્સકના અભાવે પશુપાલકો લાચાર બન્યા છે. એમાય તહેવારોની સાથે રવિવારની રજા હોવાથી પશુપાલકો દયનિય હાલતમાં મૂકાઇ જવા પામ્યાં હતા.