અંગો ધરાવતા લોકોને પ્રોસ્થેટિક પગ પૂરા પાડીને સહયોગ આપે છે. સંસ્થાએ ટૂંકાગાળામાં આવા 85 લોકોને પ્રોસ્થેટિક પગ પૂરા પાડયા છે.
ભારતમાં 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક અને ઓર્થોટિક ડિવાઈસિસની જરૂર છે. આ સંખ્યા દર વર્ષે 25 થી 30 હજાર જેટલી વધતી જાય છે. ઉંચા ખર્ચને કારણે આ ડિવાઈસીસ મર્યાદિત લોકોને ઉપલબ્ધ હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો વંચિત તરીકે જીંદગી જીવી રહયા છે.
આ સ્થિતિમાં પરિવર્તન લાવવા એક સંસ્થા કટિબધ્ધ છે.અને તે આવા તમામ લોકોને તબીબી સુવિધા અને સંભાળ મળી રહે તે માટે સક્રિય સંસ્થા છે. અમદાવાદની સ્વૈચ્છિક સંસ્થા મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટે ત્રણ વર્ષથી ઓછા સમયમાં 85 વ્યક્તિઓની જીંદગી બદલી નાંખી છે. એમાં મોટી સંખ્યામાં બાળકો છે, જેમને જર્મનીથી આયાત કરીને પ્રોસ્થેટીક પગ પૂરા પાડવામાં આવ્યા છે. આ પ્રોસ્થેટીક પગની કિંમત રૂ.1 લાખથી રૂ.2.5 લાખ છે.
સંસ્થાએ સમાજના ગરીબ વર્ગમાંથી આવતા 400થી વધુ બાળકોને અન્ય કેટલીક શસ્ત્રક્રિયા અને સારવાર પૂરી પાડવામાં સહાય કરી છે.
આ ટ્રસ્ટ ગયા વર્ષે જે પ્રવૃત્તિ કરી હતી તેની હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સાઓના ઘનિષ્ઠ અહેવાલનું ઝાયડસ લાઈફસાયન્સિસના ચેરમેન શ્રી પંકજ પટેલ, બકેરી ગ્રુપના ડિરેકટર -શ્રી પવન બકેરી અને વાઘબકરી ટી ગ્રુપના એક્ઝિકયુટિવ ડિરેકટર શ્રી પરાગ દેસાઈ તથા અન્ય મહાનુભવોની હાજરીમાં શનિવારે જીએલએસ ઓડિટોરિયમમાં યોજાયેલા એક સમારંભમાં વિમોચન કરવામાં આવ્યુ હતું.
સમારંભમાં ટ્રસ્ટની કામગીરીનો લાભ મેળવનાર લોકો પણ હાજર રહયા હતા. આ ટ્રસ્ટની કામગીરીમાં યોગદાન આપનાર 12 વ્યક્તિઓનું બહુમાન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વાત કરતાં મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટનાં સ્થાપક અને ટ્રસ્ટી શ્રધ્ધા સોપારકરે જણાવ્યુ હતું કે “હાથ-પગ વગરના અનેક લોકો તેમની કોઈ પણ ભૂલ વગર તકલીફ ધરાવતી જીંદગી જીવતાં હોય છે.
મધુરમ ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે આવા શક્ય તેટલા વધુ લોકોને સહાયરૂપ બનવા માટે પ્રયાસ કરી રહયા છીએ. લાભાર્થીઓના જીવનમાં તફાવત લાવી શકવાનો અમને આનંદ છે. આ પ્રવૃત્તિ અમારા દિલને ગમતી પ્રવૃત્તિ છે અને અમારો વાર્ષિક અહેવાલ આ ઉદ્દેશ માટે કરેલા કામનું ઉદાહરણ છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “અમે હાથ-પગની ખોડ ધરાવતા લોકોને યોગ્ય તબીબી સારવાર મળી રહે અને તે સરળ જીંદગી જીવી શકે તે માટે સહાય કરવાનો છે. અમે સમાજને કશુંક પરત કરવા માટે કટિબધ્ધ છીએ. સમાજના વધુ લોકોને આ પ્રવૃત્તિનો લાભ મળી રહે તે માટે આ કામગીરી ચાલુ રાખીશું.”
જોગાનુજોગ જેમણે અંગ ગૂમાવ્યાં છે તેવા લોકોમાં જાગૃતિ (Limb Loss Awareness Month) મહિના તરીકે એપ્રિલ મહિનો મનાવાય છે. સમારંભનો ઉદ્દેશ કૃત્રિમ અંગો અંગે જાગૃતિ ઉભી કરીને આવી ઊણપને કારણે પરેશાન થતા લોકોનું સશક્તિકરણ કરવાનો તથા તેમની વાત જાણવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ દુનિયામાં 3 કરોડથી વધુ લોકોને પ્રોસ્થેસ્ટીક અને ઓર્થોટીક ડિવાઈસીસની જરૂર છે. પ્રોસ્થેસ્ટીક સંભાળ એ માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયાભરમાં પડકાર છે. વિકસતા દેશોમાંથી 75 ટકા કરતાં વધુ પાસે પ્રોસ્થેસ્ટીક અને ઓર્થોટીક તાલિમ કાર્યક્રમ નથી. આથી આવા દર્દીઓને નબળી ક્લિનીકલ સારવાર મળે છે.