બાળકોનું ભણવામાં ધ્યાન ન લાગતું હોય, કે બાળકનો સ્વભાવ જીદ્દી કે ચિડિયો થઈ રહ્યો હોય ત્યારે પૂર્વ દિશામાં બારી પાસે તુલસીનો છોડ મૂકવો. પછી બાળકો પાસે જ તુલસીજીના છોડમાં પાણી અર્પણ કરાવવું. આ નાનકડો પ્રયોગ બાળકોના ભવિષ્ય માટે ચોક્કસપણે લાભદાયી પૂરવાર થશે !
જે ઘરમાં તુલસીનો (tulsi) છોડ હોય ત્યાં સકારાત્મક્તાની અનુભૂતિ તો સહજપણે જ વર્તાતી રહે છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મા તુલસીની પૂજા કરતાં જ હોય છે. પણ, કહે છે કે જો કેટલાંક વિશેષ ઉપચારને ધ્યાનમાં રાખી તુલસી પૂજા કરવામાં આવે તો તુલસીના છોડ દ્વારા જ દરેક સમસ્યાનું નિવારણ પ્રાપ્ત કરી શકાય છે ! આવો, આજે કેટલાંક આવાં જ સરળ ઉપાયો વિશે વાત કરીએ.
બીમારીથી મુક્તિ અર્થે
તુલસીપત્ર (tulsipatra) એક સર્વશ્રેષ્ઠ ઔષધ હોવાનું તો સૌ કોઈ જાણે જ છે. અને એટલે જ શરદી-ખાંસીના સંજોગોમાં લોકો તેનું સેવન કરે છે. પણ, વાસ્તવમાં ઘરમાં વિશેષ સ્થાન પર તુલસીને સ્થાપિત કરીને પણ તમે બીમાર વ્યક્તિને રાહતની પ્રાપ્તિ કરાવી શકો છો ! જો ઘરમાં સતત કોઈની તબિયત ખરાબ રહેતી હોય. ઘરના મોભી સતત મુશ્કેલીઓથી ઘેરાયેલા રહેતા હોય. હાથમાં લીધેલાં કામ હંમેશા અટકી પડતા હોય. તેમજ ઘરમાં જો નકારાત્મક ઊર્જાની અનુભૂતિ થતી હોય ! તો ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં તુલસીનો છોડ મૂકવો. “ૐ સુપ્રભાય નમઃ” બોલતા તુલસીજીને જળ અર્પણ કરવું. તેમજ તુલસીજી પાસે ઘીનો દીપ પ્રગટાવવો. આ ઉપાયથી ટૂંક સમયમાં જ ઘરમાં તેમજ પરિવારજનોના જીવનમાં રાહત વર્તાવા લાગશે.
સંતાનપ્રાપ્તિ અર્થે
તુલસીપૂજા તો સંતાનસુખની પણ પ્રાપ્તિ કરાવે છે. કહે છે કે જે દંપતીને સંતાન ન હોય તેમણે નિત્ય “તુલસી નામાષ્ટકમ્” બોલવું અથવા સાંભળવું જોઈએ. તુલસી નામાષ્ટકમ્ થી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. તો, સંતાનની પ્રાપ્તિ અર્થે પુરુષોએ પણ તુલસી પૂજા કરવી ! દરરોજ સાંજે તુલસીક્યારે ઘીનો દીવો કરવો. તુલસીજી સામે બેસી “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રના 108 વખત જાપ કરવા. સ્ત્રીઓએ નિત્ય પૂજા ઉપરાંત 24 મિનિટ તુલસીજીના સાનિધ્યે બેસવું. માન્યતા અનુસાર તુલસીજીની સકારાત્મક ઊર્જાથી દંપતીને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે.
તુલસીકૃપાથી વ્યાપારવૃદ્ધિ
તુલસીનો છોડ તો ધંધા-રોજગાર સંબંધી ક્ષેત્રમાં પણ સકારાત્મક ફળની પ્રાપ્તિ કરાવે છે. જો, મહેનત કરવા છતાં ફળ ન મળતું હોય ! કે નોકરીમાં પ્રમોશન ન થતું હોય ! તો સોમવારે તુલસીજી સંબંધી એક વિશેષ પ્રયોગ અજમાવવો. તુલસીના 16 બીજ લઈ તેને સફેદ વસ્ત્રમાં મૂકી પોટલી બનાવવી. ત્યારબાદ “ૐ તુલસી દેવ્યૈ નમઃ” મંત્રનો 108 વખત જાપ કરવો. અને પછી તે પોટલી તમારા કાર્યક્ષેત્રની તિજોરીમાં મૂકી દેવી. કહે છે કે આ પ્રયોગથી ધંધા-રોજગાર ક્ષેત્રે ચોક્કસથી લાભની પ્રાપ્તિ થશે.
બાળકોને વિદ્યાના આશીર્વાદ
બાળકોનું ભણવામાં ધ્યાન ન લાગતું હોય, કે બાળકનો સ્વભાવ જીદ્દી કે ચિડિયો થઈ રહ્યો હોય ત્યારે પૂર્વ દિશામાં બારી પાસે તુલસીનો છોડ મૂકવો. પછી બાળકો પાસે જ તુલસીજીના છોડમાં પાણી અર્પણ કરાવવું. અને બાળક પાસે જ “ૐ હરિપ્રિયામ નમઃ” મંત્રનો જાપ કરાવવો. આ નાનકડો પ્રયોગ બાળકોના ભવિષ્ય માટે ચોક્કસપણે લાભદાયી પૂરવાર થશે. અને તેની કારકિર્દી ઉજ્જવળ બનશે.
ટૂંકમાં કહીએ તો તુલસીનો એક નાનકડો છોડ પરિવારજનોના સઘળા મનોરથોની પૂર્તિ કરી દે છે. અને એ પણ ખૂબ જ સરળ વિધિથી. અલબત્, આ બધાં ઉપચાર આસ્થા સાથે અને નિયમાનુસાર થાય તે પણ એટલું જ મહત્વનું છે.