(જી.એન.એસ) તા. 11
ગાંધીનગર,
રાજ્યના પાટનગર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો દ્વારા ઊગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવાની માંગ કરી હતી. જો કે, ઉમેદવારો યોગ્ય રીતે રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા છે.
વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગાંધીનગર વિધાનસભા ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વિરોધ પ્રદર્શન કરવા આવતા લોકોને રોકવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આજે વિધાનસભાથી થોડે દૂર વિદ્યા સમીક્ષા ભવન ખાતે ઉમેદવારો પહોંચી ગયા હતા. આ ઉમદેવારોએ ભવન આગળ સૂત્રોચાર કરી અને પોસ્ટર બતાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.
ઉમેદવારોએ જગ્યા વધારીને માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે કે તારીખ 31 મે 2025ના રોજ 3374 શિક્ષકો નિવૃત્ત થશે અને 21,254 જેટલી જગ્યાઓ ખાલી પડશે, તો 5,000 જેટલી ઓછી ભરતી કેમ?