વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘રોજગાર મેળા’ અંતર્ગત ગુરુવારે એટલે કે 13 એપ્રિલે લગભગ 71,000 યુવાનોને નિમણૂક પત્રો આપશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી. આ અવસરે વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને પણ સંબોધિત કરશે. જણાવી દઈએ કે રોજગાર મેળો કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક પહેલ છે, જેથી વધુને વધુ લોકોને રોજગાર આપી શકાય. રોજગાર મેળા અંતર્ગત અનેક વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોને ઓફર લેટર આપવામાં આવશે.
વિવિધ સરકારી વિભાગોમાં ભરતી
મંગળવારે PMOના એક રીલીઝમાં જણાવાયું હતું, “રોજગાર મેળો વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.” સાથે જ નવા ભરતી થયેલા યુવાનોને પણ ‘કર્મયોગી પ્રારંભ’ દ્વારા પોતાને પ્રશિક્ષિત કરવાની તક મળશે, જે વિવિધ સરકારી વિભાગોમાં તમામ નવી ભરતી માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કોર્સ છે.
આ જગ્યાઓ પર યુવાનોની ભરતી
ભારત સરકાર હેઠળ 71 હજાર યુવાનોની નોકરીઓ માટે ટ્રેન મેનેજર, સ્ટેશન માસ્ટર, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક, ઈન્સ્પેક્ટર, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, જુનિયર એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર, ટેક્સ આસિસ્ટન્ટ, સિનિયર ડ્રાફ્ટ્સમેન, જેઈ સુપરવાઈઝર, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષક, ગ્રંથપાલ, નર્સ, પ્રોબેશનરી ઓફિસર, PA, MTS જેવી વિવિધ જગ્યાઓ પસંદ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 22 ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ ‘રોજગાર મેળા’ના પ્રથમ તબક્કાની શરૂઆત કરીને 10 લાખ સરકારી નોકરીઓ આપવાના અભિયાનની શરૂઆત કરી હતી.