જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા હાલમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેઓની મુલાકાત હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થઈ. આ દરમિયાન કિશિદાએ PM નરેન્દ્ર મોદીને G7ના હિરોશિમા સમિટમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું. આ બેઠકમાં બંને દેશોના ટોચના નેતાઓએ મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી, ડિજિટલ વગેરે જેવા ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સાથે લોજિસ્ટિક્સ, ફૂડ પ્રોસેસિંગ, સ્ટીલ, MSME જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ ચર્ચા કરવામાં આવી. જણાવી દઈએ કે બંને દેશો વર્ષ 2023ને પ્રવાસન વિનિમય તરીકે ઉજવી રહ્યા છે.
બેઠક બાદ પીએમ મોદીએ શું કહ્યું?
બેઠક પૂરી થયા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને જાપાન કાયદાના શાસન અને લોકતાંત્રિક મૂલ્યો પર આધારિત વ્યૂહાત્મક, વૈશ્વિક ભાગીદારી ધરાવે છે. પીએમ મોદીએ કહ્યું કે જાપાનના પીએમ કિશિદા તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળી ચુક્યા છે. જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની કિશિદા સાથેની આજની મુલાકાતને ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તરીકે જોવામાં આવી રહી છે. બીજી તરફ જાપાનના વડાપ્રધાન કિશિદાએ કહ્યું કે તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા છે અને તેમને જી7ના હિરોશિમા સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું છે.
જાપાનના પીએમે કહી આ વાત
પીએમ નરેન્દ્ર મોદીએ કિશિદાએ આપેલા આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. કિશિદાએ તેમની વાતચીતમાં વધુમાં જણાવ્યું કે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે બંને દેશો ઉર્જા ક્ષેત્રે સહકારી કાર્ય કરશે. જાપાન આગામી પાંચ વર્ષમાં ભારતમાં 5 ટ્રિલિયન યેનનું રોકાણ કરવા જઈ રહ્યું છે. જણાવી દઈએ કે જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સોમવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની મુલાકાતનો હેતુ જાપાન અને ભારત વચ્ચે સંરક્ષણ, વેપાર, રોકાણ અને ઉચ્ચ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગનો છે.