કોંગ્રેસે મંગળવારે આરોપ લગાવ્યો કે મોડી રાત્રે રાહુલ ગાંધીના વિમાનને વારાણસી એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં ન આવી અને આવું બદલાની ભાવના સાથે કરવામાં આવ્યું. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજય રાયે આક્ષેપ કર્યો કે વાયનાડ સંસદીય મતવિસ્તારમાંથી પરત ફરતી વખતે રાહુલ ગાંધીનું વિમાન અહીંના એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ વિમાનને “છેલ્લી ક્ષણે” ઉતરવાની મંજૂરી ન આપી.
અજય રાયે કહ્યું કે તેઓ અને પાર્ટીના અન્ય નેતાઓ તેમના નેતાને રિસીવ કરવા એરપોર્ટ પર હતા પરંતુ તેમના પ્લેનને એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં ન આવી, જેના પરિણામે તેમને (ગાંધી)ને રાષ્ટ્રીય રાજધાની પરત ફરવું પડ્યું.
રાયે કહ્યું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે પ્રયાગરાજની કમલા નેહરુ મેમોરિયલ હોસ્પિટલમાં એક કાર્યક્રમ માટે પ્રયાગરાજ જવાના હતા. પરંતુ સરકારના દબાણને કારણે એરપોર્ટ ઓથોરિટીએ તેમના પ્લેનને લેન્ડ થવા ન દીધું.
કોંગ્રેસ નેતાએ એમ પણ કહ્યું કે ભાજપ સરકાર રાહુલ ગાંધીથી ડરી ગઈ છે અને તેથી તેમણે વિમાનને વારાણસી એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી ન આપી. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કર્યું ત્યારથી દેશના વડાપ્રધાન ચિંતિત છે. હવે તેઓ રાહુલને પરેશાન કરી રહ્યા છે.”
વારાણસી એરપોર્ટના ડાયરેક્ટર આર્યમા સાન્યાલે જણાવ્યું કે રાહુલ ગાંધીના આગમન અંગે અગાઉથી કોઈ માહિતી નહોતી. તેમણે કહ્યું કે છેલ્લી ક્ષણે તેમને ફ્લાઇટ કંટ્રોલર પાસેથી માહિતી મળી કે એરપોર્ટ પર ગાંધીનું લેન્ડિંગ શેડ્યૂલ રદ કરી દેવામાં આવ્યું છે.