કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ‘ભારત જોડો યાત્રા’ નવ દિવસના શિયાળાના વિરામ બાદ આજથી ઉત્તર પ્રદેશથી ફરી શરૂ થશે. આજે ભારત જોડો યાત્રા દિલ્હીના લાલ કિલ્લા પાસેના હનુમાન મંદિરથી શરૂ થશે અને યોગી આદિત્યનાથ શાસિત ઉત્તર પ્રદેશ તરફ આગળ વધશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં નવ દિવસના શિયાળાના વિરામ પછી, ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસની આ યાત્રા તેના અંતિમ તબક્કામાં છે, જે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી.
આજે યુપી પહોંચશે રાહુલની ભારત જોડો યાત્રા
દિલ્હી પોલીસે પહેલાથી જ શહેરના ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં મુસાફરી કરતા નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટે એક એડવાઈઝરી જારી કરી દીધી છે કારણ કે રાહુલ આજે લાલ કિલ્લા પાસેના હનુમાન મંદિરથી યાત્રાની શરૂઆત કરશે અને અહીંથી ગાઝિયાબાદના લોની માટે રવાના થશે.
અખિલેશ-માયાવતી યાત્રામાં ભાગ નહીં લે
અખિલેશ યાદવ અને માયાવતી સહિતના વિપક્ષી નેતાઓએ ‘ભારત જોડો યાત્રા’ને સમર્થન આપ્યું છે પરંતુ તેનાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે અખિલેશે રાહુલને યાત્રામાં આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો અને તેની સફળતાની શુભેચ્છા પાઠવી હતી.
અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, “ભારત જોડો યાત્રા એક એવી ભાવના છે જે ભૌગોલિક હદની બહાર છે, જ્યાં પ્રેમ, અહિંસા, લાગણીઓ, સહકાર અને ભાઈચારો એ સકારાત્મક તત્વો છે, જે ભારતને એક કરે છે અને આશા છે કે આ યાત્રા આ સર્વસમાવેશક સંસ્કૃતિનું જતન કરવાનો તેનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરશે.”
રાહુલ ગાંધીએ આમંત્રણ આપ્યું હતું
માયાવતીએ ટ્વીટ કર્યું, “હું ‘ભારત જોડો યાત્રા’ માટે મારી શુભકામનાઓ પાઠવું છું અને મને આમંત્રણ આપવા બદલ શ્રી રાહુલ ગાંધીનો આભાર માનું છું.” પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે ઘણા લોકો પ્રેમ ફેલાવવા માંગે છે. હું જાણું છું કે અખિલેશ જી અને માયાવતી જી પણ નફરત નથી ઈચ્છતા. નફરત વિરુદ્ધ ચાલી રહેલી આ યાત્રામાં યુપીના બંને મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.
પ્રિયંકા ગાંધી પણ સામેલ થશે રાહુલ ગાંધીની યાત્રામાં
રાહુલની સાથે તેમની બહેન અને કોંગ્રેસના યુપી પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા પણ આજથી યાત્રામાં જોડાશે. બંને બાગપત થઈને માવી કલાન, સિસાના અને સરુરપુર જશે. જણાવી દઈએ કે 5 જાન્યુઆરીએ હરિયાણામાં પ્રવેશતા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના ઘણા વિસ્તારોમાં જશે.
મંગળવારે ગાઝિયાબાદની લોની બોર્ડરથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ્યા પછી, રાહુલ અને પ્રિયંકા બાગપત થઈને કૈરાના અને શામલીના અન્ય કેટલાક સ્થળોએ જશે. 2020 અને 2021 વચ્ચે વર્ષભર ચાલનાર ખેડૂતોના આંદોલનમાં મોખરે રહેનાર ભારતીય કિસાન યુનિયન આવતીકાલે બાગપતમાં યાત્રાનું સ્વાગત કરશે જ્યારે તે માવીકાલા ગામમાં પ્રવેશ કરશે.