અત્યારે રાજ્ય સરકાર દ્વારા સોલાર લગાવવાને લઈને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેમાં એએમસી દ્વારા પણ લોકોને આ સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ કોર્પોરેશનની શાળાઓમાં જ સોલાર પેનલો નથી. 2014-15ના બજેટમાં મ્યુ. સંચાલિત શાળા મંડળની 200થી વધુ ઇમારતોને સોલાર પેનલ લગાવીને સૌર ઉર્જાથી સંચાલિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને 7 વર્ષ થઈ ગયા પરંતુ આજ સુધી સ્કાઉટ ભવન સિવાય લગભગ એક પણ મ્યુનિ. શાળામાં સૌર ઉર્જા નથી. જેને લઈને લાખોના બિલ આવે છે.
એએમસી સ્કૂલ બોર્ડના શાળા મંડળને દર બે મહિને વીજ બીલ પેટે 20થી 30 લાખની રકમ ચૂકવવી પડે છે. જો 2014-15ના બજેટમાં આ શાળાઓને સૌર ઉર્જાથી સજ્જ કરવામાં આવી હોત તો 7 વર્ષમાં નગરપાલિકા લાખો, કરોડો બચાવી શકાયા હોત.
એએમસી સ્કૂલ બોર્ડમાં દર બે મહિને રૂ. 20 થી 30 લાખનું લાઈટ બિલ આવે છે. તે ગણતરી પ્રમાણે લાઇટ બિલ વર્ષે 1.20 કરોડથી 1.50 કરોડ આવે છે. હવે જો તે સમયે બજેટમાં દર્શાવ્યા મુજબ જો 1 કરોડ ખર્ચીને સોલાર પેનલ લગાવવામાં આવી હોત તો 7 વર્ષ સુધી આ લાઇટ બિલમાં 9થી 11 કરોડની બચત થઈ હોત.