‘સૂર્ય છ અબજ વર્ષનો છે, હજુ સાડા ચાર અબજ વર્ષ જીવશે’ તે પ્રકારની માહિતી પોરબંદરમાં ગુરૂકુળ મહિલા કોલેજ ખાતે સુપ્રસિધ્ધ ખગોળશાસ્ત્રી ડો. જીતેન્દ્ર રાવલે આપી હતી.રાજરત્ન શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતા આર્યકન્યા વિદ્યાલય ટ્રસ્ટ સંચાલિત ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક્સપર્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ડો.જીતેન્દ્ર જે.રાવલ ઉપસ્થિત રહ્યા હતા.ગુરૂકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રાષ્ટ્રીય અને રાજ્યસ્તરીય અનેક એવોર્ડ વિજેતા, ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટીના પ્રમુખ, સાયન્સ અને એસ્ટ્રોનોમી વિષયક ૪૦૦૦થી વધુ લેખો ગુજરાતના લગભગ તમામ અખબાર મેગેઝીનમાં આપનાર, વીકલી સાયન્સ કોલમ હેઠળ અનેક લેખો આપનાર, આર ધેર રિંગ્સ અરાઉન્ડ ધ સન? જેવા અનેક અભ્યાસ પૂર્ણ લેખો આપનાર ડો.રાવલે સોલાર સીસ્ટમમાં સમાં અને અગિયારમાં પ્લેનેટની આગાહી કરેલી જે ઘણા વર્ષો પછી મળી આવી હતી તેવા સુપ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આદરણીય ડો.જીતેન્દ્ર જે. રાવલનું વ્યાખ્યાન યોજાયું હતું.
તેઓએ પોતાના વ્યાખ્યાનના આરંભેજ ીકરીઓને ‘વ્હાલનો દરિયો’ કહીને સંબોધી હતી. પોતાની હળવી શૈલીમાં તેઓએ કહેલું કે, બ્રહ્માંડની ન સમજાય તેવી વાત એ છે કે તે સમજાય તેવું છે આપણી ગેલેક્સીનું નામ આકાશ ગંગા મંદાકિની છે તે ૫૦૦ અબજ જેટલા તારાઓથી ભરપુર છે. તેઓએ ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, બ્રહ્મપુત્રા જેવી તમામ નદીઓનો ઉલ્લેખ એક શ્લોકમાં કરતા કહ્યું હતું કે આપણી સઘળી નદીઓ આકાશમાંથી કાં તો બરફ અથવા પાણી સ્વરૂપે ઉતરી આવી છે. આપણે જ્યાં ઉભા હોઈએ તે આપણને બ્રહ્માંડનું કેન્દ્ર લાગે છે પરંતુ બ્રહ્માંડનું કોઈ કેન્દ્રબિંદુ છે જ નહીં. સૂર્યમાં ૧૩ લાખ પૃથ્વીના ગોળાનો સમાવેશ થાય તેટલો મોટો છે. તો પ્રકાશની ગતિ ૧ સેકન્ડમાં ૩ લાખ કિ.મી. છે. તેઓએ સૂર્યને આપણો સાચો પિતૃ ગણાવ્યો હતો. તેના થકી સમાજને થનારા લાભોની તેઓએ રસપ્રદ માહિતી આપી હતી. તેઓએ સૂર્યમંદિરનો ઉલ્લેખ કરી તેમાં અંકિત થયેલા દિવસ, મહિના, વાર અને કાળની પણ જાણકારી આપી હતી. તેઓએ કહેલું કે, સૂર્યની હાલની ઉંમર ૬ અબજ વર્ષથી વધારે છે અને તે હજી ૪.૫ અબજ વર્ષ જીવતો રહેશે. પૃથ્વી પોતાની ધરી ઉપર જેમ ફરતી રહે છે તેવી રીતે કેટલાક તારાઓ એક સેકન્ડમાં ૫૦૦ વખત ફરે છે. પૃથ્વીનું વજન ૬ હજાર અબજ ટન છે એમ કહેલું. તેઓએ પંચ મહાભૂતોની થીયરીને તદ્દન સાચી કહી હતી. તેઓએ જીનીવામાં આવેલ પ્રોટોન તોડવા માટેના મશીનોના વાસ્તવિક ફોટો બતાવ્યા હતા. તેઓએ પૌરાણિક સાહિત્ય, સંસ્કૃત સાહિત્ય ભર્તુહરીના શતકને પોતાના વ્યાખ્યાનમાં સરસ રીતે આવરી લીધા હતા.
તેમણે જ્યોતિષ ઉપર આંધળો વિશ્વાસ નહીં કરવાની વાત કરી હતી. તેમણે પોતાના સંશોધન વિશે કહેલું કે, વિજ્ઞાન એ ખાવાના ખેલ નથી પરંતુ એક ધીરજ માંગી લેતું કામ છે ઉપરાંત જીવનમાં શાંતિ હોવી જોઈએ લોલુપતા નહી. તેમણે પૃથ્વીના નારા અંગે ફેલાતી રહેતી અફવાઓને રદ્યિો આપતા કહેલું કે, નાના મોટા અપવાદ, અન્ય ગ્રહોની પૃથ્વી સાથેની અથડામણ અને નાના મોટા નુકશાનની શક્યતા ખરી પણ પૃથ્વીનો સાવ નાશ શક્ય નથી. બ્રહ્માંડમાં વર્ષો સુધી સચવાઈ રહેતા અવાજના તરંગો વડે ભૂતકાળની વ્યક્તિઓના અવાજ ચોક્કસ પકડી શકાય પણ તેના માટે જરૂરી છે ફ્રિકવન્સી. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને તેમણે બ્રહ્માંડની લીલા ગણાવી તેની અંગે તેમણે શુભ-અશુભ અસરોના વિચારોને માણસની અણસમજ કહી હતી. ભગવાન ખુદ બ્રહ્માંડ છે અને આ સમસ્ત વિશ્વ સુંદર અને લીલામય છે તેને મન ભરીને માણવાની તેઓએ સુંદર વાત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો.અનુપમભાઈ આર.નાગરના માર્ગદર્શન હેઠળ કોલેજના વાઈસ પ્રિન્સિપાલ પ્રો.રોહિણીબા જાડેજાના અધ્યક્ષ સ્થાને પ્રો.ડો.શર્મિષ્ઠા પટેલે અને પ્રો. અદિતિ ક્વેએ કર્યું હતું.