ભારતીય ઘરેલુ ક્રિકેટના ખેલાડી અનુરીત સિંહે તમામ રીતના ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તે આઇપીએલમાં પણ રમતો હતો. આ સિવાય તે રેલ્વે અને વડોદરા માટે પણ રમ્યો હતો. અનુરીત સિંહે 2008માં કર્ણાટક વિરૂદ્ધ રેલ્વે માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ અને સિક્કિમ માટે પણ રમ્યો હતો.
આઇપીએલમાં અનુરીત સિંહ ત્રણ ટીમ માટે રમ્યો હતો. તે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. વર્ષ 2009થી 2018 સુધી તે આઇપીએલમાં રમ્યો હતો, તેને લીગમાં 18 વિકેટ પોતાના નામે કરી હતી. જોકે, આઇપીએલમાં તે નિરંતર રમ્યો નહતો. આ કારણે તે વધુ સફળ ના થઇ શક્યો.
પોતાના સંન્યાસ વિશે અનુરીત સિંહે ટ્વીટર પર લખ્યુ, હું બાળપણથી જ ક્રિકેટર બનવા માંગતો હતો, આ એક અવિશ્વસનીય ક્રિકેટ યાત્રા રહી છે. જ્યારે હું 16 વર્ષનો હતો ત્યારે હું દિલ્હીમાં સુભાનિયા ક્રિકેટ ક્લબમાં સામેલ થયો હતો. આ સપનુ સાચુ થવા જેવુ હતુ જ્યારે મને ભારતીય ઘરેલુ સીઝન 2008માં કર્ણાટક વિરૂદ્ધ રણજી ટ્રોફી રમવામાં ભારતીય રેલ્વે માટે તક મળી હતી.
આગળ તેને લખ્યુ કે હું પોતાના કેપ્ટન અને મેન્ટર સંજય બાંગરનો આભાર માનવા માંગુ છું, આ સિવાય તેમણે મુરલી કાર્તિક, અભય શર્મા વગેરે લોકોનો પણ આભાર માન્યો હતો. અંતમાં તેને કહ્યુ કે હું બીસીસીઆઇ, પશ્ચિમ રેલ્વે, ઉત્તર રેલ્વે, ભારતીય રેલ્વે,વડોદરા ક્રિકેટ એસોસિએશન, સિક્કિમ ક્રિકેટ એસોસિએશનની સાથે સાથે આઇપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ, કિંગ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો પણ આભાર માનવા માંગુ છું.
અનુરીત સિંહે વર્ષ 2008થી લઇને વર્ષ 2021 સુધી ઘરેલુ ક્રિકેટમાં પોતાની ભાગીદારી આપતો રહ્યો હતો. આ દરમિયાન તેને 72 ફર્સ્ટ ક્લાસ, 56 લિસ્ટ એ અને 71 ટી-20 મેચ રમી છે. પોતાની કરિયરમાં અનુરીત સિંહે 249 ફર્સ્ટ ક્લાસ વિકેટ ઝડપવામાં સફળતા મેળવી હતી અને સાથે જ લિસ્ટ એમાં તેમણે કુલ 85 શિકાર પોતાના નામે કરવામાં સફળતા મળી હતી. ટી-20માં અનુરીતે પોતાના નામે કુલ 64 વિકેટ ઝડપી હતી.