કોંગ્રેસને 2017નું વર્ષ માંડ માંડ ફળ્યું હતું અને 77 જેટલી સીટો મેળવી હતી, જે માટે 2017નું અનામત આંદોલન જવાબદાર હતું ત્યારે આ વખતે બીજેપી તરફી કોઈ આવું કોઈ મોટું આંદોલન નથી. અત્યાર સુધી બીજેપી તેમના માટે છેલ્લા 27 વર્ષથી પડકારજનક પક્ષ રહ્યો છે. 27 વર્ષમાં કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવવામાં સફળ સાબિત થઈ શકી નથી તેવામાં કોંગ્રેસને અત્યાર સુધી એક જ પક્ષ સામે જીતવાનો ટાર્ગેટ હતો પરંતુ આ વખતે 182 વિધાનસભામાં આમ આદમી પાર્ટી પણ તેમના ઉમેદવારો ઉતારી રહી છે. જેના કારણે કોંગ્રેસ અને ભાજપથી અસંતૂષ્ટ મતદારો ત્રીજા પક્ષમાં મતદાન કરી શકે છે. ખાસ કરીને આ પડકાર બીજેપી કરતા કોંગ્રેસ માટે વધુ સાબિત થઈ શકે છે. કેમ કે, અત્યાર સુધી કોંગ્રેસ એ બીજો પક્ષ રહ્યો છે ત્યારે ત્રીજો પક્ષ કોંગ્રેસ ના બને તેને લઈને પણ કોંગ્રેસે કમર કસવી પડશે.
2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ સામે આવ્યો જ છે. જેના પરીણામ સ્વરુપે એક પછી એક દિગ્ગજ નેતાઓ પક્ષ પલટો પણ કરી રહ્યા છે. કોઈ ભાજપમાં તો કોઈ કોંગ્રેસમાં જોડાઈ રહ્યું છે. ત્યારે પક્ષમાં નારાજગીનો જૂવાડ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓનુ મનોબળ તોડી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ વખતે શહેરી વિસ્તારોમાં મતો કબ્જે કરવાની પણ યોજના હોવાથી પહેલું લિસ્ટ ઉમેદવારો જાહેર થાય તેમાં શહેરી ઉમેદવારો વધુ હોઈ શકે છે. વહેલા પ્રચાર કરી શકાય તે માટેનું આયોજન ચૂંટણી પહેલા છે પરંતુ ટિકિટ માટે ઉમેદવારોના નામ ધોષિત થતા કોંગ્રેસમાં નારાજગી પણ જોવા મળી શકે છે ત્યારે આજે રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે છે. વિવિધ આ પ્રકારના પ્રશ્નો મુદ્દે તેઓ નેતાઓ, કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી તેમનું જોમ ભરવાનો પ્રયત્ન પણ કરશે.
ચૂંટણી આડે માત્ર 3 મહિના જેટલો સમય ગાળો બચ્યો છે ત્યારે આપ પાર્ટીનો સામનો કરવા તેમજ કોંગ્રેસના જૂના જોગીઓને સાથે લઈને સંગઠનને મજબૂત બનાવવાનું કામ પણ કરવું પડશે. આ સાથે આક્રમક રીતે પ્રચાર અને વિરોધ નિતી કોંગ્રેસ દ્વારા કરવામાં આવે તેને લઈને પણ રણનિતી ઘડાઈ રહી છે. પરંતુ નેતાઓની નારાજગી ભારે પણ પડી રહી છે ત્યારે રાહુલ ગાંધીનો બે મહિના બાદ પ્રવાસ યોજાઈ રહ્યો છે. જેથી તેમને ગુજરાતમાં પ્રવાસો વધારીને કોંગ્રેસમાં ચૂંટણી પહેલા જોમ ભરવો પડશે. ત્યારે આજે વિવિધ મુદ્દે નેતાઓ સાથે બેઠકમાં ચર્ચા થઈ શકે છે.