ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપીની કાયદાકીય વ્યવસ્થાના વખાણ કર્યા છે. સાથે જ તેમણે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે ભારપૂર્વક કહ્યું કે ‘ઉત્તર પ્રદેશમાં છેલ્લા 6 વર્ષથી કોઈ રમખાણ નથી થયા. યુ.પી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે. સીએમ યોગીએ આ નિવેદનથી સ્પષ્ટ કર્યું છે કે જ્યારથી ઉત્તર પ્રદેશમાં બીજેપી પાર્ટી તરીકે યોગી સરકાર કામ કરી રહી છે ત્યારથી લઈને અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં કોઈ રમખાણ નથી થયા. સીમ યોગીએ આ વાત UPPSC દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારોને નિમણૂક પત્રોના વિતરણ અને ‘ઈ-અધ્યાન’ પોર્ટલના ઉદ્ઘાટનમાં કહી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ સીએમ યોગી ઘણી વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની વાત કરી ચૂક્યા છે. તેમણે રાજ્યના મોટા રોકાણકારોને પણ ઘણી વખત કહ્યું છે કે યોગી રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી સારી છે કે તેઓ કોઈપણ ખચકાટ વિના યુપીમાં રોકાણ કરી શકે છે. ઇન્વેસ્ટર્સ સમિટમાં પણ આ જ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો.
યોગી આદિત્યનાથની સરકારમાં જેણે કાયદો અને વ્યવસ્થા તોડી, જેણે દબંગાઈ બતાવી તે માટીમાં મળી ગયા. છેલ્લા 6 વર્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘણી વખત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થામાં સુધારો થવાનો ઉલ્લેખ કરતા રહે છે. એવું માનવામાં આવે છે કે છેલ્લા 6 વર્ષમાં ગુનેગારો પર થયેલી ઝડપી કાર્યવાહીના કારણે તેમની કરોડરજ્જુ તૂટી ગઈ છે. યોગી સરકારે તાજેતરમાં એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે છેલ્લા 6 વર્ષમાં યુપી પોલીસ અને ગુનેગારો વચ્ચે 10,000 થી વધુ એન્કાઉન્ટર થયા છે, જેમાં 63 ગુનેગારો માર્યા ગયા છે, જ્યારે એક સિપાહી શહીદ થયો છે.
‘વિદેશોમાં પણ વાગી રહ્યો છે કાયદો અને વ્યવસ્થાનો ડંકો’
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યની બાગડોર સંભાળતાની સાથે જ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવો તેમની પ્રાથમિકતા બની ગઈ. તેમની સરકારે માફિયાઓ અને ગુનેગારો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે ગુનાહિત તત્વો સામે કાર્યવાહી ઝડપી કરી દીધી.’
મોદી, શાહ પણ કરી ચુક્યા છે યુપીની કાયદો અને વ્યવસ્થાના વખાણ
તમને જણાવી દઈએ કે GIS-23 દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓ અને રોકાણકારોએ યુપીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની પ્રશંસા કરી હતી. યુપી પોલીસે ગુનાખોરીને કાબૂમાં લેવા અને ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે આયોજનબદ્ધ અને તબક્કાવાર રીતે કામ કર્યું હતું, અને એન્કાઉન્ટર એક એવી રણનીતિના રૂપે સામે આવ્યું કે જેનાથી ગુનેગારોમાં ડર પેદા થઈ ગયો અને તેઓ રાજ્યમાંથી ભાગવા લાગ્યા.