સમગ્ર દેશમાં વીજ ક્ષેત્રે ગુજરાત નંબર 1 છે એમ જણાવતા નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ પ્રસંગે કહ્યુ હતું કે, સમગ્ર દેશમાં કુલ 67 જેટલી વીજ કંપનીઓ કાર્યરત છે. તેના તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ બધી વીજ કંપનીઓમાંથી ટોપ પાંચ કંપનીઓમાં ગુજરાતની જ ચાર કંપનીઓ સ્થાન ધરાવે છે અને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડે તો પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. આ કચેરી દ્વારા અસપાસના ગામોને લાભ થશે તેમજ વીજ સમસ્યાઓનો ઉકેલ આવશે. ગુજરાતમાં હાલમાં સોલાર રૂફટોપ દ્વારા રોજની 2000 મેગાવોટ અને પવનઊર્જા મારફતે રોજની 3000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. તેમજ ભારતમાં એક વ્યક્તિદીઠ 1132 યુનિટ વીજ વપરાશ છે જ્યારે ગુજરાતમાં આ વીજવપરાશ વધીને વ્યક્તિદીઠ 2183 યુનિટ્નો છે. વીજ કટોકટીના સમયે પણ ગુજરાતમાં એકપણ દિવસ વીજકાપ અપાયો નથી. તેથી દરેક ક્ષેત્રે ડબલ એંજિનની સરકારથી દરેકને ફાયદો થઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે તેમ સસ્તી વીજળી આપવા કરતાં સારી વીજળી આપવી એ મહત્વનું છે. તેમજ રાજ્યમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની ખૂબ સારી કામગીરી કરી રહી છે. તેથી દરેકે સાથે મળી ને દરેક સમસ્યાનો ઉકેલ લાવવો. કાંઠા વિસ્તારમાં ખારી હવાને કારણે વીજ કેબલોને નુકશાન થવાથી વીજ સમસ્યાઓ ઉદભવે છે તેના ઉકેલ સ્વરૂપે હવે જુદા પ્રકારના કેબલ લગાવી આ સમસ્યાનો પણ ઉકેલ લાવવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે વલસાડ અને ડાંગના સાંસદ ડૉ. કે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, આ કચેરીની રચનાથી આંતલીયા અને ડુંગરી સબ સ્ટેશનથી છૂટા પડેલા આસપાસના વિસ્તારના અનેક ગામોને લાભ મળશે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે આ પેટા વિભાગીય કચેરીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, પહેલાં ડુંગરીમાં જ કચેરી હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને પાવરકટ અને લોડ સેરિંગની સમસ્યા રહેતી હતી તે હવે દૂર થશે. 400 ચો.કી.મીના વિસ્તારને આવરી લેતી ધરાસણા પેટા વિભાગીય કચેરી અંતર્ગત 66 કે.વી.ના કુલ બે ઉંટડી અને ડુંગરી સબસ્ટેશન કાર્યરત છે જ્યારે ધોલાઈ સબસ્ટેશન ડિસેમ્બર – 2022 સુધીમાં કાર્યરત થઈ જશે. ઊંટડી સબસ્ટેશનમાં જેજીવાયના ત્રણ અને ખેતીવાડીના બે ફીડરો મળી કુલ પાંચ ફીડરો, ડુગરી સબસ્ટેશનમાં જેજીવાયના એક અને એચ.ટી. એક્ષપ્રેસના બે મળી કુલ ત્રણ તેમજ ધોલાઈમાં સબસ્ટેશનમાં જેજીવાયના બે અને ખેતીવાડીના બે ફીડરો મળી કુલ ચાર ફીડરો સ્થાપિત છે. આમ કુલ 12 ફીડરોનું સંચાલન ધરાસણા પેટા વિભાગીય કચેરી દ્વારા કરવામાં આવશે. આ કચેરી અંતર્ગત ખાપરવાડા, બીગરી, પોંસરી, ધોલાઈ, દઢોરા, ગોંયદી, ભાઠલા, ચીખલા, ભાગલ, છરવાડા, દાંડી, ધરાસણા, જેસપોર, કકવાડી, માલવણ, શંકરતળાવ, નાની દાંતી, મોટી દાંતી, ઉંટડી અને ઉમરસાડી એમ કુલ 20 ગામોના 22146 જેટલા વીજ ગ્રાહકોને લાભ થશે. ડુંગરી અને આંતલીયા પેટા વિભાગીય કચેરીના વિસ્તારમાં ગ્રાહકોમાં ઘટાડો થશે તેથી વીજ ગ્રાહકો વહેંચાવાથી સરખી અને સારી વીજ સેવાઓ મળશે અને ફરિયાદોનું ઓછા સમયમાં નિવારણ લાવીએ શકાશે. ગ્રાહકોને બીલ ચૂકવણીમાં પણ સરળતા રહેશે. કાંઠા વિસ્તારોમાં સરળતાથી વીજ પૂરવઠો મળવાથી મત્સ્ય ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. જેથી કાંઠા વિસ્તારનો ઝડપથી વિકાસ થશે. ગ્રાહકોને સાતત્યપૂર્ણ અને ઉચ્ચ ગુણવત્તાવાળો વીજ પૂરવઠો પ્રાપ્ત થશે.