અમદાવાદના SGVP ગુરુકુળ, છારોડી ખાતે ૧૫મી ઓગસ્ટના રોજ યોજાનારા જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓની આજરોજ જિલ્લા કલેકટર સંદિપ સાગલેની ઉપસ્થિતિમાં સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટર દ્વારા ધ્વજ વંદન વ્યવસ્થા, ધ્વજ સલામી, રાષ્ટ્રગાન, હર્ષ ધ્વનિ, મંચ વ્યવસ્થા સહિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યોજાનારા સ્વાગત કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત સમગ્ર કાર્યક્રમ વ્યવસ્થાની સમીક્ષા અને વિહંગાવલોકન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી દરમિયાન કાર્યક્રમમાં કુલ ૮૨ જેટલા વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ અને ૦૧ સ્વાતંત્ર્ય સેનાનીનું સન્માન કરવામાં આવશે. જેમાંથી જિલ્લા રમગમત અધિકારીની કચેરીનાં ૦૫, આરોગ્ય વિભાગ અ. મ્યુ. કો. નાં ૦૧, ૧૦૮ ઇમરજન્સી સર્વિસનાં ૦૬, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના ૧૩, પોલીસ અધિક્ષકની કચેરી,અમદાવાદ (ગ્રામ્ય) નાં ૩૬, આઇ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત અમદાવાદનાં ૦૧, જિલ્લા નિરીક્ષક જમીન દફતરનાં ૧૦ તેમજ મામલતદાર કચેરી સાણંદ અને ઘાટલોડિયાનાં ૦૧-૦૧ કર્મચારીનું સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર સાથે નિવાસી અધિક કલેકટર સહિત કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ તેમજ અન્ય સંલગ્ન વિભાગોના કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.