સુરતમાં ગુનાખોરીની વધી રહેલી ઘટના ઓછી થવાનું નામ નથી લેતી અને દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે. આવી જ એક વધુ ઘટના સુરત શહેરમાં બનવા પામી છે.શહેરના કતારગામ વિસ્તારની એક સોસાયટીમાં મધ્ય રાત્રીએ વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની ઉપર બાળકોની સામે ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાનો પ્રયત્ન કરાતાં ખળભળાટ મચ્યો,છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટ ખસેડવામાં આવી,પોતાના ૧૬ વર્ષના લગ્ન જીવનમાં ૭ વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી,એટલું જ નહીં પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળી ગયેલી પત્નીએ બે વાર આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો,પતિ કર્ણાટકનો રહેવાસી છે અને તે ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો.પત્ની ઉપર ફાયરિંગ કરી પતિ ફરાર થઇ ગયો છે, બનેવી પ્રવિણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટીનાએ ૧૬ વર્ષ અગાઉ અખિલેશ સિંગ સાથે પ્રેમ લગ્ન કરી નવું જીવન શરૂ કર્યું હતું જોકે લગ્નના થોડા જ સમય બાદ અખિલેશ વહેમિલો હોવાનું સામે આવી ગયું હતું,પત્ની કોઈ સાથે પણ વાત કરતી તો તેને એલફેલ ગાળો આપી અને શંકા કરી મારઝૂડ કરતો હતો,વેલ્ડીંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશ સિંઘ ના બે બાળકો છે ત્યારે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી.માનસિક તણાવમાં રહીને પણ ટીના તેની સાથે જ જીવન જીવવા મજબૂર હતી. પતિના ત્રાસથી કંટાળી આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી અને લગભગ ૭ વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણ-પોષણ આપવાના હુકમ પણ થયા હતા પરંતુ કોરોના કાળ પહેલા છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી,જોકે કોર્ટ બંધ રહેવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી,ફાયરિંગની સમગ્ર ઘટનાને લઈ કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી ફાયરિંગ કરનાર પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.