ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 32 રને વિજય થયો હતો. IPL 2023માં બંને ટીમો વચ્ચે રમાયેલી આ બીજી મેચ હતી. રાજસ્થાને બંને મેચ જીતી છે. બીજી તરફ જો ગુરુવાર, 27 એપ્રિલના રોજ રમાયેલી મેચની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે 43 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી. આ માટે તેને ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. મેચ બાદ યશસ્વીએ પોતાની શાનદાર બેટિંગનું રહસ્ય જાહેર કર્યું હતું.
યશસ્વીએ વાત કરતા કહ્યું, “હું બોલને ફટકારવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ મને એ પણ ખબર હતી કે પવન કઈ બાજુથી ફૂંકાઈ રહ્યો છે, પરંતુ મારા મગજમાં એ પણ સ્પષ્ટ હતું કે મારે જઈને સારા ક્રિકેટિંગ શોટ્સ રમવાના છે. વાત માત્ર આ સિઝનની નથી, હું ટીમ મેનેજમેન્ટ સાથે પ્રયાસ કરી રહ્યો છું અને ધોની સર અને વિરાટ ભાઈ જેવા સિનિયર ખેલાડીઓ સાથે વાત કરતો રહું છું.
રાજસ્થાનના ઓપનિંગ બેટ્સમેને વધુમાં જણાવ્યું કે તે દબાણમાં કેમ રમવાનું પસંદ કરે છે. આ સિવાય તેણે પોતાના સ્ટ્રાઈક રેટ વિશે પણ વાત કરી. બેટ્સમેને વધુમાં કહ્યું, “હું દબાણનો આનંદ માણું છું અને જ્યારે દબાણ હોય ત્યારે ત્યાં રહેવા માંગુ છું. હું માત્ર મારી સ્ટ્રાઈક રેટને ઊંચી રાખવા વિશે વિચારી રહ્યો હતો અને મને ખબર હતી કે બચાવ કરવા માટે અમારે 200 રનની જરૂર છે.
આ સિઝનમાં તેણે અત્યાર સુધી 3 અડધી સદી ફટકારી છે
IPL 2023માં યશસ્વી જયસ્વાલ અત્યાર સુધી શાનદાર લયમાં જોવા મળ્યો છે. તેણે કુલ 8 મેચ રમી છે, જેમાં તેણે બેટિંગ કરતી વખતે 38ની એવરેજ અને 147.57ની સ્ટ્રાઈક રેટથી 304 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને કુલ 3 અડધી સદી કરી છે. આ સાથે જ તેનો હાઈ સ્કોર 77 રનનો છે.