‘જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર’-સુરત દ્વારા અમદાવાદ સાયન્સ સિટીના ૧૦૦ નિ:શુલ્ક શૈક્ષણિક પ્રવાસો યોજાયા
વિજ્ઞાનના પ્રચાર-પ્રસાર હેતુસર નવેમ્બરથી શરૂ થયેલા શૈક્ષણિક પ્રવાસોના અભિયાનમાં અત્યાર સુધી ૧૦૦ શાળાઓના ૫૦૦૦થી વધુ શિક્ષકો અને બાળકોને લાભ મળ્યો
રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ(DST) હેઠળ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)નાં સહયોગથી સુરતમાં છેલ્લા ૧૯ વર્ષોથી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે. જેમાં નવેમ્બર ૨૦૨૨થી ચાલી રહેલા શૈક્ષણિક પ્રવાસોના અભિયાન હેઠળ અત્યાર સુધી સુરતની ૧૦૦ જેટલી ખાનગી/સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ૫૦૦૦ જેટલા બાળકોને અમદાવાદના સાયન્સ સેન્ટરની નિ:શુલ્ક મુલાકાતનો લાભ મળ્યો છે.
શાળાના બાળકોમાં અભ્યાસકાળ દરમિયાન વિજ્ઞાન સબંધિત શૈક્ષણિક પ્રવાસો અને પર્યાવરણ/પ્રાકૃતિક શિબિરોનું ખૂબ મહત્વ હોવાથી ગુજકોટના સહયોગથી નવેમ્બર-૨૦૨૨થી કાર્યરત અભિયાન તા.૩૧ માર્ચ, ૨૦૨૩ સુધી ચાલુ રહેશે. જેથી વધુમાં વધુ બાળકો તેનો લાભ લઈ શકે. બાળકો અને શિક્ષકોમાં વિજ્ઞાનનાં પ્રચાર-પ્રસાર માટે કાર્ય કરતી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શૈક્ષણિક અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો/પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં વિજ્ઞાનના પ્રોજેક્ટ્સ, પ્રદર્શનો, મેળાઓ, વિવિધ વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી, સ્પર્ધાઓ, શૈક્ષણિક/વિજ્ઞાન પ્રવાસો, પ્રાકૃતિક શિબિરો, શિક્ષકો માટે તાલીમ/વર્કશોપ વગેરે યોજવામાં આવે છે.
હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ,પ્લેનેટ અર્થ, એનર્જી પાર્ક, IMAX થિએટર, એક્વેટિક ગેલેરી, રોબોટીકસ ગેલેરી, નેચરપાર્ક જેવા અનેક આધુનિક પ્રકલ્પોથી સજ્જ સાયન્સ સેન્ટર આશરે ૧૦૦ એકર જગ્યામાં નિર્માણ પામ્યું છે. જે બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાનમાં વૃદ્ધિ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભવિષ્યમાં દરેક જિલ્લામાં આ પ્રકારના આધુનિક સાયન્સ સેન્ટરનો લાભ સ્થાનિક નાગરિકોને મળે એ દિશામાં સરકાર કાર્યરત છે.