બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલા યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે 12થી 16 ફેબ્રુઆરી, 2023 દરમિયાન 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે યાત્રાળુઓ માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે.
જણવા દઈએ કે, રાજ્યના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાઓમાંથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના 12થી 16 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અંબાજી દર્શન માટે આજે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો પ્રમાણે, આ પરિપત્ર મુજબ એસ.ટી.બસની સુપર બસ ભાડા (નોન એ.સી.), તેની 50% રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે, જેમાં 25% રકમ અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ સ્થાનિક સહકારી સંસ્થા/પ્રાયોજકો અને 25 ટકા રકમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ભોગવશે. જ્યારે બાકીની 50 ટકા રકમ યાત્રાળુ એ ભોગવવાની રહેશે.
આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે
સરકારની આ યોજનાનો લાભ લેવા માટે દરેક યાત્રાળુએ આધારકાર્ડની ઝેરોક્ષ રજૂ કરવાની રહેશે. વાહન વ્યવહારની કચેરી તથા કલેકટર બનાસકાંઠાના પરામર્શ બાદ સંબંધિત જિલ્લા કલેક્ટરે બસ ઉપાડવાનો સમય, સ્થળ સહિતની વિગતો નક્કી કરવાની રહેશે. ઉપરાંત મુખ્ય પરિવહન અધિકારી સાથે પરામર્શ કરીને કયા જિલ્લાએ કેટલી બસ ફાળવવી એ સબંધિત જિલ્લાના કલેક્ટરે નક્કી કરવાનું રહેશે.