લખનઉના ઈટૌંજા વિસ્તારમાં એક વિદ્યાર્થીનીની હત્યા કર્યા બાદ ગુનેગારો તેના મૃતદેહને ઝાડીઓમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા. બીજી તરફ યુવતી ઘરે પરત ન ફરતાં પરિજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, જે પછી ઘરની નજીકની ઝાડીઓમાંથી યુવતીની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ગળુ દબાવીને કરવામાં આવી છે. દીકરીની હત્યાના કારણે રોષે ભરાયેલા પરિવારજનોએ રસ્તો રોકી વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીનીના પરિવારજનોએ કોઈપણ પ્રકારની દુશ્મનાવટનો ઈન્કાર કર્યો છે.
બળાત્કાર બાદ યુવતીની હત્યાની આશંકા
વિદ્યાર્થિનીના પરિજનોએ જણાવ્યું કે તેમની દીકરીની કોઈની સાથે દુશ્મની ન હતી. એવામાં હત્યાને લઈને અન્ય પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમને તપાસ માટે સ્થળ પર બોલાવવામાં આવી હતી, જેમણે કેટલાક પુરાવા એકઠા કર્યા છે. બળાત્કાર બાદ વિદ્યાર્થિનીની હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની 5 ટીમો બનાવવામાં આવી છે.
પોલીસ પર બેદરકારીનો આરોપ
જણાવી દઈએ કે ઈટૌંજાના ગણેશપુર ગામની 16 વર્ષની વિદ્યાર્થીનીની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી. ઘટના રવિવાર સવારની જણાવવામાં આવી રહી છે. યુવતી ગામની બહાર ગઈ હતી. લાંબા સમય સુધી તે પરત ન આવતાં તેની નાની બહેનને તેને શોધવા માટે મોકલવામાં આવી હતી. માહિતી બાદ પોલીસ ઘટનાસ્થળે બે કલાક મોડી પહોંચી હતી. પોલીસ મોડી આવતાં ગ્રામજનોએ હોબાળો શરૂ કર્યો હતો. ગ્રામજનોએ સ્ટેશન ઈન્ચાર્જ પર બેદરકારીનો આરોપ લગાવતા ઈટૌંજા-કુર્સી રોડ બ્લોક કરી દીધો હતો. ભારે જહેમત બાદ પોલીસે જામ ખુલ્લો કરાવ્યો હતો.