દેશમાં સતત વીજળીની અછતને જોતા સરકારની માલિકીની કોલ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. કોલ ઈન્ડિયા 7 વર્ષ બાદ કોલસાની આયાત કરવા જઈ રહી છે. 2015 પછી આ પ્રથમ વખત હશે જ્યારે કોલ ઈન્ડિયા આયાત કરશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી એપ્રિલમાં સર્જાયેલી વીજ કટોકટીની સ્થિતિને ટાળી શકાય. હાલમાં દેશ છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ વિજળી સંકટનો સામનો કરી રહ્યો છે.
વીજ મંત્રાલય દ્વારા 28 મેના રોજ લખવામાં આવેલા પત્ર મુજબ કોલ ઈન્ડિયા સરકાર-થી-સરકારી ધોરણે કોલસાની આયાત કરશે. આ કોલસો રાજ્યના વીજ ઉત્પાદકો અને સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર્સ (IPPs)ના થર્મલ પાવર પ્લાન્ટને સપ્લાય કરવામાં આવશે. કોલ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી કોલસા કંપનીઓમાંની એક છે.
રાજ્યોએ કેન્દ્ર પાસે માંગણી કરી હતી
ઉર્જા મંત્રાલયનો આ પત્ર કોલસા સચિવ અને કોલ ઈન્ડિયાના ચેરમેન સહિત તમામ ઉચ્ચ કેન્દ્રીય અને રાજ્ય ઉર્જા અધિકારીઓને મોકલવામાં આવ્યો છે. 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશને કોલસાની અછતનો સામનો કરવો પડે તેવી ધારણા છે. આ સમયગાળા દરમિયાન વીજળીની માંગ પણ વધશે.
વીજ મંત્રાલયના પત્ર અનુસાર રાજ્યોએ કહ્યું હતું કે કોલસાની આયાત માટે અલગ ટેન્ડર બહાર પાડવાને કારણે ગડબડ થવાની સંભાવના છે, તેથી કોલ ઈન્ડિયા દ્વારા કેન્દ્રીય સ્તરે આયાતની માંગ કરવામાં આવી હતી.
x`આ મહિનાની શરૂઆતમાં, સરકારે તમામ રાજ્યો અને સ્થાનિક કોલસાથી કામ કરતી કંપનીઓને કોલસાની જરૂરિયાતના ઓછામાં ઓછા 10% આયાત કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. વીજ મંત્રાલયે શનિવારે રાજ્યોને પ્રક્રિયા હેઠળ ચાલી રહેલા તમામ ટેન્ડરોને સ્થગિત કરવા જણાવ્યું હતું.
મંત્રાલયે જણાવ્યું હતું કે, શક્ય તેટલા ઓછા દરે કોલસાની પ્રાપ્તિ માટે પ્રક્રિયા હેઠળ ટેન્ડરોને રાહ યાદીમાં રાખવામાં આવી શકે છે. કોલસાની આયાત માટે રાજ્યો અને સ્વતંત્ર પાવર પ્રોડ્યુસર્સ (IPP) પ્રક્રિયા G2G રીતે પ્રાપ્તિ હાથ ધરશે.