પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) એ ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી અને મથુરાની મસ્જિદોના સર્વે સામે ચાલી રહેલા કોર્ટ કેસોને લઈને મોરચો ખોલ્યો છે. આ કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠનની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 23-24 મેના રોજ કેરળના પુથથાનીમાં યોજાઈ હતી. જેમાં દેશભરના મુસ્લિમોને મસ્જિદો સામે ચાલી રહેલી કાર્યવાહીનો એકજૂથ થઈ વિરોધ કરવાની અપીલ કરવામાં આવી હતી.
બેઠકમાં આ મુદ્દાઓ અંગે પત્ર જારી કરવામાં આવ્યો હતો
- PFI જ્ઞાનવાપીમાં વઝુખાના પર પ્રતિબંધનો વિરોધ કરે છે. સંગઠને કહ્યું કે કોર્ટનો નિર્ણય નિરાશાજનક છે.
- કોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓ પૂજા અધિનિયમ 1991ની વિરુદ્ધ છે અને અદાલતોએ તેમને મંજૂરી આપવી જોઈએ નહીં.
- ભાજપ શાસિત રાજ્યોમાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. યુપી, મધ્યપ્રદેશ અને આસામમાં અત્યાચારો થઈ રહ્યા છે.
- કર્ણાટકના મેંગલુરુમાં જામા મસ્જિદ પર કરવામાં આવતા દાવાઓ ક્યારેય ન સમાપ્ત થનારી સાંપ્રદાયિક દુશ્મનાવટ અને અવિશ્વાસ તરફ દોરી જશે.
પીએફઆઈ વિવાદોમાં રહી છે
કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન PFI હંમેશા વિવાદોમાં રહે છે. સંગઠન પર ઉત્તર પ્રદેશ અને આસામમાં CAA અને NRCના વિરોધ દરમિયાન દિલ્હી હિંસા માટે લોકોને ઉશ્કેરવા, ભંડોળ પૂરું પાડવા, હિંસા ભડકાવવાનો આરોપ છે. ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્ર પાસે PFI પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી. ગુપ્તચર એજન્સીઓ સંગઠનની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખે છે, કારણ કે તે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સિમીનું ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશન માનવામાં આવે છે.
જ્ઞાનવાપી વિવાદમાં આગામી સુનાવણી 30 મેના રોજ
વારાણસી કોર્ટમાં ગુરુવારે થયેલી સુનાવણીમાં મુસ્લિમ પક્ષે હિન્દુ પક્ષની અરજીને ફગાવી દેવાની માંગ કરી હતી. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો હતો કે જ્ઞાનવાપી મસ્જિદની અંદર મળેલું શિવલિંગ વ્હીલ વડે ક્ષતિગ્રસ્ત થયું છે. આ કેસની આગામી સુનાવણી 30 મે, સોમવારે થશે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી 8 અઠવાડિયામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.