અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે. છતાં આ કાતિલ ઠંડીની અસર એસટીનાં ટ્રાફિક ઉપર જરા પણ પડી નથી. અમરેલી એસ.ટી. વિભાગનાં ટ્રાફિકમાં ઘણો વધારો થયો છે. ટ્રાફિક વધવા પાછળ પૂર બહારમાં ખીલેલો લગ્નગાળો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રોજ ૩૪ લાખની આવક થઈ રહી છે જે રૂટિન કરતા ૬ થી ૮ લાખ વધુ છે.
અમરેલી એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ લગ્નગાળાનાં કારણે ખાસ કરીને છેલ્લા એક અઠવાડિયાથી તમામ રૂટની બસ ફૂલ દોડી રહી છે. કડકડતી ઠંડી છતાં છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી એસ.ટી. વિભાગની દૈનિક આવક રૂ.૩૩ લાખની આસપાસ થઈ રહી છે. આ આવક રૂટિન કરતાં રૂ.૮ લાખ વધુ છે. હાલમાં સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં રૂટની બસમાં ચિક્કાર ટ્રાફિક રહે છે. ખાસ કરીને જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, જસદણ, ગોંડલ, રાજકોટ, ઉના રૂટની બસમાં સૌથી વધુ ધસારો રહે છે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા રૂટમાં પણ સારો એવો ટ્રાફિક રહે છે. આ સાથે વસંતપંચમીના દિવસે અમરેલી એસ.ટી. વિભાગની આવક રૂ.૩પ લાખથી વધુ થઈ હતી. ઉપરાંત અમરેલી એસ.ટી. વિભાગની બસ પણ લગ્નગાળા માટે બુક થઈ ગઈ છે. જેમાં દરરોજ અંદાજે ૧પ જેટલી બસ બુક કરવામાં આવતી હોવાથી લગ્નગાળા માટે એસ.ટી.બસ મુસાફરો માટે આશીર્વાદ સમાન બની છે.