વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં નાગરિક ફરિયાદ નિવારણ પહેલના 20 વર્ષ પૂરા થવા નિમિત્તે 27 એપ્રિલે ડિજિટલી આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે આ યોજના શરૂ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, નાગરિકોને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમની ફરિયાદની સ્થિતિ જાણવાની સુવિધા આપતી આ યોજનાને ‘સ્વાગત’ નામ આપવામાં આવ્યું છે. તે 24 એપ્રિલ 2003 ના રોજ જીલ્લા અને રાજ્ય સ્તરે પ્રથમ વખત તત્કાલીન મુખ્યમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેને ગામ અને તાલુકા સ્તરે લઈ જવામાં આવ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે કેટલાક લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરી શકે છે. સ્વાગત પહેલ છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં સુશાસનને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેનો સફળતા દર 99.91 ટકા છે. આ દ્વારા 5,63,806 ફરિયાદોમાંથી 5,63,314 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ નાગરિકોને મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરવાની તક આપે છે. ‘સ્વાગત દિવસ’ પર, વડાપ્રધાન મોદી વ્યક્તિગત રીતે લોકોના પ્રશ્નોને જુએ છે અને રાજ્યભરના અધિકારીઓ પાસેથી પ્રતિસાદ માંગે છે.
‘સ્વાગત દિવસ’ પરંપરાગત રીતે દર મહિનાના ચોથા ગુરુવારે ઉજવવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાગત ઓનલાઈન પ્રોગ્રામને જાહેર સેવામાં પારદર્શિતા, જવાબદારી અને શાસન સુધારવા માટે 2010માં સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા પુરસ્કાર મળ્યો હતો. યુનાઈટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ્સ જાહેર સેવા સંસ્થાઓની રચનાત્મક સિદ્ધિઓ અને યોગદાનને માન્યતા આપે છે. વધુમાં, તેને ભારત સરકાર દ્વારા 2010-11માં ઈ-ગવર્નન્સ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર અને માહિતી ટેકનોલોજી દ્વારા જાહેર સેવાઓમાં સુધારો કરવા માટે 2011માં CXO એવોર્ડ પણ મળ્યો હતો.
PM 26મીએ ગુજરાત આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ સોમનાથ ખાતે ચાલી રહેલા 10 દિવસીય સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પહેલા સંગમના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા. બાદમાં કેટલાક કાર્યક્રમોના કારણે ફેરફાર થયો હતો. 27 એપ્રિલે PM મોદીના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેશે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ આવવાનો બાકી છે. એવી અપેક્ષા છે કે પીએમ મોદી કેટલાક વધુ કાર્યક્રમોમાં હાજર રહી શકે છે.