



અમદાવાદમાં લેબોરેટરીમાં ટેસ્ટિંગના નામે મન ફાવે તે પ્રકારના ચાર્જ ઉધરાવાય છે. ખાનગી લેબોરેટરીમાં કોવિડ ટેસ્ટના 500 રુપિયા ઉઘરાવાય છે. એચથ્રીએનટુના ટેસ્ટિંગના 4500 રુપિયા ઉઘરાવાય છે. તબીબોએ આ મામલે દર્દીઓને સલાહ આપી છે. ટેસ્ટના નામે મોટા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. જો કે, તબીબો દ્વારા સલાહ આપવામાં આવી રહી છે કે, સામાન્ય શરદી, ખાંસીમાં આ પ્રકારે ટેસ્ટની જરુર નથી. કેટલાક લક્ષણોને જોતા આ પ્રકારે ટેસ્ટ કરાવવો જરૂરી છે.
H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી બચવા માટે ડોકટરોએ માસ્કનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. ડોક્ટરોનું કહેવું છે કે, વાયરસથી બચવા માટે લોકોએ સતત હાથ ધોતા રહેવું જોઈએ, સાથે જ વર્ષમાં એકવાર ફ્લૂની રસી પણ લેવી જોઈએ. કેટલાક સૌથી સામાન્ય લક્ષણોમાં લાંબા સમય સુધી તાવ, ઉધરસ, શરદી અને શરીરમાં દુખાવાનો સમાવેશ થાય છે પરંતુ ગંભીર કિસ્સાઓમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ સહીતના કિસ્સાઓ બની શકે છે.
જો કે, અમદાવાદમાં સિવિલ, એલ.જી. એસવીપી સહીતની હોસ્પિટલની અંદર ફ્રીમાં ટેસ્ટ કરાવવામાં આવે છે. અત્યારે ત્યાં વોર્ડ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જયાં ગંભીર દેખાતા લક્ષણોમાં આ પ્રકારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ખાનગી લેબમાં આ ટેસ્ટ માટે મોટા ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે.
જો કે, આ વાયરસને હળવાશથી પણ ના લેવો જોઈએ જેમાં આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વાયરસથી બચવા માટે જાહેર પરિવહન, હોસ્પિટલ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને અન્ય જાહેર વાહનો જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે.