છાયામાં પરણીતાના ચારિત્ર્ય ઉપર પતિએ શંકા કરતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કરતા તેને પોલીસ ફરીયાદ નોંધાવી છે. છાયા નવાપરામાં બાલવીનગરમાં રહેતા સેજલબેન મેઘનાથી દ્વારા એવી પોલીસ ફરીયાદ નોંધાવી છે કે ચાર વર્ષ પહેલા તેમના લગ્ન યોગેશ વસરામગર મેઘનાથી સાથે થયા હતા અને પતિ સાથે તેને સવારથી ઝઘડો ચાલુ હતો આથી પતિ યોગેશે ત્યાં આવીને પત્ની સેજલબેનને રૂમમાં પુરીને માથે તાળું મારી દીધું હતું અને ત્યારબાદ “ તારે કયાંય જવાનું નથી. ઘરની અંદર જ રહેવાનું છે.’ દુધ શાકભાજી કે બીજી વસ્તુઓ જોતી હશે તો બીજી કોઈ વ્યકિત કોઈ આપી જશે. તારે ઘરમાં જ રહેવાનું છે.’ કહેતા સેજલે તેના પતિને ‘ મારા ઉપર શંકા કેમ કરો છો? તમે મને કયારે કોઈની સાથે જોઇ છે ? તો નામ આપો’ કહેતા પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને ‘ તારે હું કહું તેમ કરવાનું છે’ કહી બીજા રૂમમાં જતો રહ્યો હતો.
આથી આ મહિલાએ પીળા કલરનું જ્વલનશીલ પ્રવાહી પડયું હતું તે બોટલ લઇ લીધી હતી અને પોતાના શરીર ઉપર છાંટીને દીવાસળી સળગાવી પોતાના શરીરે આગ લગાડી દીધી હતી. ત્યારબાદ તે બુમાબુમ કરવા લાગી હતી. આથી પતિ યોગેશનું ધ્યાન જતા તે ગોદળું લઇ આવી પહોંચ્યો હતો. અને પત્ની સેજલબેનના ડ્રેસમાં લાગેલી આગને બુજાવી હતી અને ત્યારબાદ સેજલે હોસ્પીટલે સારવાર લેવા જવાનું કહ્યું હતું પરંતુ પતિ યોગેશ તેને પોતાની ફોર વ્હીલમાં બેસાડીને યોગેશના સાસુ સસરા રહે છે ગાંગડી ગામે લઇ જવા નીકળ્યો હતો અને રસ્તામાં કુછડી પહોંચતા તેને શરીરે વધુ બળતરા થતા પતિએ તેને કુ છડીના શીવપરી આનંદપરીને ગાડીમાં બેસાડીને ગાંગડી તરફ જતા હતા અને પાંચડેરા સુધી પહોંચ્યા બાદ કારને પોરબંદર તરફ પાછી વાળીને સરકારી હોસ્પીટલે દાખલ કરી હતી જયાં તે સંપૂર્ણપણે ભાનમાં હોવાથી તેણે પોતાના પતિ સામે શારીરીક માનસીક ત્રાસ આપ્યાની અને તેના કારણે પોતાને આ પગલું ભર્યા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેજલબેનના ભાઈ લલીતગર હસમુખગર ગોસાઈ તથા ફઈબા મધુબેન કીશોરગર મેઘનાથીની હાજરીમાં જ પતિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.