જામનગરમાં વૈશાલી નગર વિસ્તારમાં પુત્રવધુ દ્વારા સસરા ને ત્રાસ અપાતો હોવા અંગેના ઉલટી ગંગાના પ્રકરણમાં ઝેરી દવા પી લેનાર સસરાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતાં પોલીસ દ્વારા પુત્રવધુ સામે પોતાના સસરાને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે ગુનો નોંધ્યો છે. જે બનાવ ને લઈને ભારે ચકચાર જાગી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં વૈશાલી નગર વિસ્તારમાં રહેતા હીરાભાઈ કેશાભાઈ પરમાર નામના 62 વર્ષના બુઝુર્ગે ગત 12મી તારીખે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને ઝેર પી લીધું હતું, અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેઓને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેમણે પોતાના પુત્રવધુના ત્રાસના કારણે આ પગલું ભરી લીધું હોવાનું જણાવ્યું હતું. જેઓ સારવાર હેઠળ હતા, દરમિયાન ગઈકાલે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે સમગ્ર મામલે સીટી બી. ડિવિઝન પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધર્યા પછી ગઈકાલે પોલીસે મૃતક વૃદ્ધના પુત્ર મનીષભાઈ પરમારની ફરિયાદના આધારે મોટી પુત્ર વધુ અમૃતાબેન અમિતભાઈ પરમાર સામે આઇપીસી કલમ 306 અને 504 મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મોટી પુત્ર વધુ અમૃતાબેન કે જે પોતાના સસરાને છેલ્લા એકાદ વર્ષથી ત્રાસ આપતી હતી, અને ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકી આપતી હતી. સાથો સાથ ચારિત્ર્ય અંગેના આક્ષેપો પણ કરતી હતી. જેનો ત્રાસ સહન નહીં થતાં આ પગલું ભર્યા નું જણાવાયું છે. આ બનાવને લઈને શહેરમાં ભારે ચકચાર જાગી છે.