ઝઘડિયાના ઇન્દોર ગામે અમારા ફળિયામાં કેમ આંટા મારે છે કહીને એક ઇસમને માર માર્યો
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે અમારા ફળિયામાં કેમ આંટાફેરા મારે છે એમ કહીને એક ઇસમને માર માર્યો હતો. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઇન્દોર ગામે રહેતા મનુભાઇ ખોડાભાઇ વસાવા નામના ઇસમ ગતરોજ તેમના માસીને તેમના ઘરે મુકવા મોટરસાયકલ લઇને ગયા હતા. મોટરસાયકલ બોટમાં મુકીને સામે કિનારે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમના માસીને કરજણ તાલુકાના અટાલી ગામે તેમના ઘરે મુકીને બોટમાં મોટરસાયકલ લઇને પાછા ઇન્દોર આવવા નીકળ્યા હતા. તેઓ ઇન્દોર ગામે નદીના ઘાટ પર બપોરના સાડા બાર વાગ્યે ઉતર્યા હતા. તે વખતે નદીના ઘાટ ઉપર બોટમાં મજુરી કામ કરતા ગામમાં જમાઇ તરીકે રહેતા રાજેશભાઇ વસાવા તેમની પાસે આવ્યા હતા અને કહેતા હતાકે અમારા ફળિયામાં અવારનવાર કેમ આંટાફેરા મારે છે? અમારા ફળિયામાં તારે આવવું નહિ. એમ કહિને ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને ગાળો બોલીને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો. ત્યારબાદ મનુભાઇ મોટરસાયકલ લઇને ઘેર જતા હતા ત્યારે રાજેશે ફરીથી ઉશ્કેરાઇ જઇને લાકડાના પાટિયાના સપાટા માર્યા હતા.
આ હુમલામાં મનુભાઇ ઇજાગ્રસ્ત થતા તેમને ભરૂચ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. ઘટના બાબતે મનુભાઇ વસાવા રહે.ગામ ઇન્દોર તા.ઝઘડિયાનાએ રાજેશ વસાવા રહે.ઇન્દોરના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.