ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે થોડા દિવસ પૂર્વે કારડીયા રાજપૂત સમાજની વિરૂધ્ધમાં નિવેદન કરતા સમાજમાં રોષ ફેલાયો છે અને જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ સાથે આજે વલ્લભીપુરમાં પ્રમુખના પુતળાનુ દહન કરવામાં આવ્યુ હતું. વલ્લભીપુર ખાતે મળેલી બેઠકમાં બહોળી સંખ્યામાં સમાજના અગ્રણી અને યુવાનો હાજર રહ્યા હતાં. આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખને સમાજના આગેવાનો મળવા જશે અને જિલ્લા પ્રમુખના રાજીનામાની માંગણી કરશે. વલ્લભીપુર શહેર ખાતે આજે રવિવારે બપોરના સમયે કારડીયા રાજપૂત સમાજની બેઠક મળી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાના રાજીનામાની માંગણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે કારડીયા રાજપૂત સમાજનુ અપમાન કર્યુ છે તેમ આગેવાનો અને યુવાનોએ જણાવ્યુ હતુ તેથી તેઓ સામે કડક પગલા લેવામાં આવે તેવી સમીક્ષા કરવામાં આવી હતી. કેટલાક આગેવાનોએ પુતળા દહનની ના પાડી હતી તેથી કાર્યક્રમ બાદ પુતળુ બાળવામાં આવ્યુ ના હતુ પરંતુ સાંજના ૭.૩૦ કલાક બાદ જિલ્લા ભાજપ પ્રમુખનુ પુતળુ સમાજના કેટલાક યુવાનો દ્વારા બાળવામાં આવ્યુ હતું. જિલ્લા ભાજપ પ્રમુખ વિરૂધ્ધ સમાજના યુવાનોમાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો. આ બાબતે આગામી થોડા દિવસમાં સમાજના કેટલાક આગેવાન પ્રદેશ ભાજપ પ્રમુખને મળવા જશે અને જિલ્લા ભાજપ પ્રમુખનુ રાજીનામુ લઈ લેવા રજુઆત કરશે. ઉલ્લેખનીય છે કે, સિહોરમાં નંદ પાર્ટી પ્લોટ ખાતે થોડા દિવસ પૂર્વે સિહોર શહેર-તાલુકા ભાજપની એક બેઠક મળી હતી. જેમાં સિહોર તાલુકા ભાજપના મહામંત્રી વિજયસિંહ ચુડાસમા સહિતના અન્ય હોદ્દેદારો ગેરહાજર હોય, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાળિયાએ જાહેર મંચ ઉપર જ તેઓની ગેરહાજરી વિશે પૃચ્છા કરી ‘કારડિયા રાજપૂત સમાજ મોટો કે ભાજપ મોટું ? તેવુ નિવેદન કરતા સમાજમાં રોષ ભભૂકી ઉઠયો છે. સિહોરમાં પણ બે દિવસ પૂર્વે પુતળા દહન કરવામાં આવ્યુ હતું. જિલ્લા ભાજપ પ્રમુખનુ રાજીનામુ નહી લેવામાં આવે તો વિરોધ યથાવત રહેશે તેમ સમાજના યુવાનોએ જણાવેલ છે. વલ્લભીપુર ખાતે મળેલી બેઠકમાં ભાજપ સાથે જોડાયેલા સમાજના કેટલાક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને તમામે સમાજ સાથે હોવાનો મત વ્યકત કર્યો હતો.