ભારતે ઓસ્ટ્રેલિયાને હૈદરાબાદમાં રમાયેલી રોમાંચક મેચમાં 6 વિકેટે હરાવીને ત્રણ મેચની ટી-20 સીરિઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. આ મેચ દરમિયાન એક એવી ઘટના ઘટી હતી જે બાદ વિવાદ થયો હતો. મેક્સવેલના રન આઉટ દરમિયાન દિનેશ કાર્તિકે વિકેટ કીપિંગમાં મોટી ભૂલ કરી હતી, જોકે, નિયમને કારણે નિર્ણય ભારતના પક્ષમાં રહ્યો હતો અને ટીમ ઇન્ડિયાને કોઇ નુકસાન થયુ નહતુ.
આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગની આઠમી ઓવરની છે, ચહલના ચોથા બોલ પર સ્કૉર લેગની દિશામાં શોટ ફટકારીને મેક્સવેલ બે રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યા તૈનાત અક્ષર પટેલે શાનદાર થ્રો વિકેટ કીપર દિનેશ કાર્તિક તરફ ફેક્યો હતો પણ કાર્તિક બોલ પકડવાના પ્રયાસ પહેલા જ વિકેટ પર લાગેલી એક બેલ પાડી ચુક્યો હતો. અક્ષર પટેલનો થ્રો કાર્તિક પકડી શક્યો નહતો પણ બોલ સીધો વિકેટ પર લાગ્યો હતો. હવે મેદાન પર રહેલા અમ્યાયર વિચારમાં હતા કે કાર્તિકે શું બન્ને બેલ્સ પાડી છે કે નથી પાડી. એવામાં તેમણે થર્ડ અમ્પાયરને કોલ આપ્યો હતો.
થર્ડ અમ્પાયરે રિપ્લેમાં જોયુ કે કાર્તિકના હાથ લાગ્યા પહેલા એક બેલ પડી ગઇ હતી પણ બીજી બેલ ત્યારે પડી જ્યારે અક્ષર પટેલનો થ્રો વિકેટ પર લાગ્યો હતો. આ કારણે થર્ડ અમ્પાયરે મેકસવેલને આઉટ આપ્યો હતો.
શું કહે છે નિયમ?
નિયમ અનુસાર, જો રન આઉટ દરમિયાન એક બેલ પહેલા પડી જાય છે તો રન આઉટ માટે બીજી બેલ પાડવી જરૂરી હોય ચે. જો બન્ને બેલ પહેલા પડી જાય છે તો બોલ સાથે ત્રણમાંથી કોઇ એક સ્ટમ્પ જમીનમાંથી ઉખાડવુ જરૂરી હોય છે.
ભારતે જીતી સિરીઝ
રન મશીન વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ વચ્ચે ત્રીજી વિકેટ માટે સદીની ભાગીદારીના દમ પર ભારતે ત્રીજી અને નિર્ણાયક ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે ધૂળ ચટાડી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 186 રન બનાવ્યા હતા, જેને ભારતે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. વિરાટ કોહલીએ આ દરમિયાન 63 તો સૂર્યકુમાર યાદવે 69 રનની ઇનિંગ રમી હતી. જોકે, મેન ઓફ ધ મેચ એવોર્ડથી અક્ષર પટેલને નવાજવામાં આવ્યો હતો જેને 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ મોટી વિકેટ ઝડપી હતી.