વિધાનસભા ગૃહમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રી દ્વારા લવાયેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક-ર૦રરમાં વિચારો રજુ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે,
વર્ષ-ર૦૦૯માં આ મુળ બિલ વિધાનસભામાં પસાર થયું ત્યારે ખાનગી અને અર્ધ સરકારી સંસ્થાઓને ખાનગી યુવિનર્સિટીનો દરજજો આપવા માટે લવાયું હતું. વર્ષ-ર૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે માત્ર ૧૪ વર્ષના ગાળામાં આજ વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા મજબુર શા માટે બનવું પડયું છે ?
૧૬મી વખતનો સુધારો ૧૧ જેટલી સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે સરકાર લાવી છે. દરેક સુધારામાં ખાનગી યુનિવર્સિટીનું નામ, સરનામું બદલવા કે નવી સંસ્થાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે વારંવાર આવા સુધારા કરવા પડે છે.
આપણે કાયદા ઘડનારા છીએ. કાયદાનો અમલ કરાવવાની જવાબદારી વિભાગની હોય છે. આ કાર્યપાલિકાનું કામ વિધાનસભાએ હાથમાં લેવું ન જોઈએ. એક વખત મોટો સુધારો કરો તો વારંવાર સુધારા કરવાની જરૂર નહીં પડે. એક નીતિ નકકી કરીને કાયદો ઘડીએ, તેના ધારા-ધોરણો ઘડીએ અને તેનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાને સોંપી દઈએ તો સમગ્ર ગુજરાતમાં ધારા-ધોરણો અને કાયદાને પરિપૂર્ણ કરતી કોઈપણ સંસ્થાઓને યુનિવર્સિટીનો દરજ્જો મેળવવા મોકળું મેદાન મળશે.