G-20 પ્રેસિડેન્સીને ધ્યાનમાં રાખી અમદાવાદમાં સાયકલ રેલી કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત, ડાયવર્ઝન નક્કી કરતું પોલીસ કમિશનર, અમદાવાદ શહેરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આવતીકાલે મંગળવારે સાયકલ રેલીનો જનજાગૃતિના કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા સારું પધારનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોટા પ્રમાણમાં અને મર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા લોકો તથા આમ જનતા વચ્ચે વાહનોની અવરજવર અને ટ્રાફિક પ્રવાહ સરળતાથી પસાર થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ વાહન પાર્કિંગ કરવાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. રુટ અંતર્ગત વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યા છે. વાડજ સ્મશાનગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો પશ્વિમ રીવરફ્રન્ટ માર્ગ વાહનોની અવર જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ થઇ ઉસ્માનપુરા ચાર રસ્તા થઇ ઇન્કમટેક્સ ઓવર બ્રીજ – મધ્ય ભાગ થઈ બાટા શો રૂમ ચાર રસ્તા થઇ ડિલાઇટ ચાર રસ્તા થઇ નહેરુનગર ચાર રસ્તા થઇ ટાઉન હોલ ચાર રસ્તા થઇ પાલડી ચાર રસ્તા થઇ મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇ અંજલી ઓવરબ્રિજ મધ્યભાગ થઇ પરથી અવર જવર કરી શકાશે.
આ હુકમ કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.૦૪ એપ્રિલ ૨૦૨૩ના સવારના કલાક ૦૫.૩૦ થી ૦૭.૩૦ સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.